દિલ્હી: નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી સરકાર સુધારા વિધેયક ગઈકાલે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું, તેનાથી રાજધાની દિલ્હીમાં અધિકારીઓની નિમણૂક અને બદલીના મામલે લેફ્ટનન્ટ ગવર્નરના નિર્ણયને અંતિમ માનવામાં આવશે. દિલ્હી વિધેયક પર સાડા ચાર કલાક ચાલેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રીએ વિપક્ષના વલણ પર સવાલો ઉઠાવ્યા હતા. લોકસભામાં પસાર થયા બાદ હવે તેને ચર્ચા માટે રાજ્યસભામાં મૂકવામાં આવશે.
Advertisement
Advertisement
દિલ્હી સર્વિસ બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરાય તેવી શક્યતા
કેન્દ્ર સરકાર આજે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ રજૂ કરે તેવી શક્યતા હતી. બીજેડી, ટીડીપી, વાયએસઆરસીપીના સમર્થન અને બીએસપીના દૂર રહેવાના નિર્ણયથી ઉપલા ગૃહમાં પણ બિલ પસાર થવાનો માર્ગ સાફ થઈ ગયો છે. પરંતુ, ટ્રેઝરી બેન્ચ રાજસ્થાન પર અને વિપક્ષ મણિપુર મુદ્દે ચર્ચાની માંગ પર અડગ રહ્યા હતા. આ અંગે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. તેને પગલે રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. તેથી હવે આ બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરાય તેવી શક્યતા છે.
નિયમ 167 હેઠળ ચર્ચા કરવા વિપક્ષ સંમત થયો
સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં છેલ્લાં 11 દિવસથી ચાલી રહેલી મડાગાંઠનો અંત આવતો દેખાઈ રહ્યો છે. વિપક્ષે ગૃહમાં વિવાદનો અંત લાવવા માટે નવો પ્રસ્તાવ આપ્યો છે. તેમાં કોંગ્રેસ સહિત સંયુક્ત વિપક્ષે નિયમ 167 હેઠળ ચર્ચા કરવાનો આગ્રહ રાખતા નિયમ 167 હેઠળ ચર્ચા કરવા સંમતિ દર્શાવી છે. નિયમ 167માં ચર્ચા બાદ મતદાનની જોગવાઈ છે, પરંતુ વિપક્ષ ચર્ચા બાદ પણ વડાપ્રધાનના નિવેદન પર અડગ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ગૃહના નેતા પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી સાથે ગઈકાલે યોજાયેલી બેઠકમાં વિપક્ષ દ્વારા આ ઉકેલ સૂચવવામાં આવ્યો હતો.
રાજ્યસભામાં અગ્નિ પરીક્ષા થશે
દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે, પરંતુ સરકાર માટે ખરો પડકાર રાજ્યસભામાં શરૂ થવાનો છે, કારણ કે ત્યાં સરકાર પાસે બહુમતી નથી. આવી સ્થિતિમાં, તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે કે પર્યાપ્ત સંખ્યા કેવી રીતે એકત્ર થાય છે. બીજી તરફ તે નવા ગઠબંધન ઈન્ડિયાની એકતાની દૃષ્ટિએ પણ મોટી કસોટી પૂરવાર થઈ શકે છે.
આંકડાની રમત શું છે, કોણ આગળ, કોણ પાછળ છે ?
રાજ્યસભામાં હાલ 238 સાંસદો છે, આવી સ્થિતિમાં બસપાએ મતદાનનો બહિષ્કાર કરવાની વાત પહેલેથી જ કહી દીધી છે, હવે સંસદમાં 237 સંખ્યા રહી છે ત્યારે બહુમતી માટે 119 સાંસદોની જરૂર છે. ભાજપ પાસે બહુમતીનો આંકડો નથી અને તેના સાથી પક્ષોને સામેલ કરવામાં આવે તો પણ આંકડો વધતો નથી. પરંતુ ભાજપે પોતાના માટે બીજેડી અને વાયએસઆર કોંગ્રેસ બંનેનું સમર્થન મેળવી લીધું છે. આ ઉપરાંત, ટીડીપી પણ કેન્દ્રને સમર્થન આપવા જઈ રહી છે. તેનાથી આંકડાઓની રમત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ સાથે એનડીએનો આંકડો બહુમતિથી ખૂબ આગળ 129 સુધી પહોંચી શકે છે. એનડીએ પાસે હાલ બે અપક્ષ સાંસદોના સમર્થન સાથે 103 સભ્યો છે. આ સિવાય બીજેડી અને વાયએસઆર કોંગ્રેસના 9-9 સાંસદો પણ સાથે આવવાના છે. તેવામાં, કોઈપણ પડકાર વિના તેનો આંક બહુમતી સુધી પહોંચી રહ્યો છે. આ ઉપરાંત એનડીએને પડકારી રહેલા ગઠબંધન ઈન્ડિયા પાસે તમામ જહેમત બાદ પણ 109 સાંસદો બચ્યા છે.
Advertisement