લોકસભાની ચૂંટણીને લઇને એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ પાર્ટીએ કમર કસી છે અને કમલમમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના જિલ્લા પ્રમાણે બેઠકો કરવામાં આવી રહી છે અને તેમાં દરેક બેઠક જંગી બહુમતીથી જીતાડવા માટેનો પાર્ટીના કાર્યકરો ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગઇકાલે કમલમમાં અરવલ્લી અને ગાંધીનગર જિલ્લા માટેની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ પાટિલ અને સંગઠનના રત્નાકર શેઠ્ઠી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Advertisement
બંને બેઠકો પરના બૂથ મેનેજમેન્ટથી લઇન સરલ એપ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગાંધીનગર જિલ્લાની વિધાનસભા બેઠકોના અને અરવલ્લી જિલ્લાની વિધાનસભાના બેઠકોના ધારાસભ્ય હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણી કોઇપણ ભોગે જંગી લીડથી જીતવા માટે ભાજપે ગ્રાસરૂટ લેવલનું પ્લાનિંગ કરી રહ્યું છે. દરેક બેઠક પાંચ લાખના જંગી મતથી જીતવાને લઇને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટિલ હૂંકાર પણ આપી ચૂક્યા છે. ભાજપ લોકોસભાની ચૂંટણીમાં કોઇ કસર રાખવાના મૂડમાં નથી અને તેને લઇને અત્યારથી ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
કમલમમાં ગાંધીનગર અને અરવલ્લી બેઠક માટે અપેક્ષિત કાર્યકરો, ધારાસભો અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો સાથે આ બેઠક શરૂ થઇ હતી, જેમાં આ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબહેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, માણસાના ધારાસભ્ય જે.એસ.પટેલ હાજર રહ્યા હતા.
અરવલ્લી જિલ્લામાંથી બાયડ વિધાનસભા બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ધવલસિંહ ઝાલા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભાજપે આમંત્રણ આપ્યું હોવાની માહિતી મળી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં ધવલસિંહ સાબરકાંઠા બેઠક માટે પ્રચાર કરશે તો નવાઇ જેવું લાગશે નહીં. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા ધવલસિંહે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપ તરફથી ભીખીબહેન પરમાર પણ મેદાનમાં ઉતાર્યા હતા અને કોંગ્રેસ તરફથી મહેન્દ્રસિંહ વાઘેલાને ઉતાર્યા હતા, જેમાં ધવલસિંહ ઝાલા વિજેતા થયા હતા અને ત્યારપછી તેમણે ભાજપને સમર્થન કર્યું હતું. ધવલસિંહ ભાજપની બેઠકમાં જોડાતા કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
Advertisement