નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ મોદી સરકારને ઘેરવા માટે એક થવાનો પ્રયાસ કરી રહ્યો છે. મમતા બેનરજી પહેલેથી જ ત્રીજા મોરચાની રચનાની હિમાયત કરી ચૂક્યા છે. તેના પગલે સવાલો ઉઠવા લાગ્યા છે કે ભાજપ વિરુદ્ધ થનારા ત્રીજા મોરચાનું નેતૃત્વ કોણ કરશે? આ સિવાય ત્રીજા મોરચામાં કયા – કયા પક્ષોને સામેલ કરવામાં આવશે. આ બધાની વચ્ચે જેડીએસ વિપક્ષી પાર્ટીઓને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યો છે.
Advertisement
Advertisement
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં માત્ર 19 બેઠકો જીતનાર જેડીએસ હવે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. વિપક્ષી એકતા અંગે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના વડા એચડી દેવેગૌડાને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ નિર્ણય કર્યો છે કે તેઓ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે પહેલા તેમના સંગઠનને મજબૂત કરશે. તેમણે લોકસભાના મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી.
બીજી તરફ, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે જેડીએસના ગઠબંધનના સવાલ પર જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે લોકસભા ચૂંટણીમાં હંમેશા અલગ પ્રકારના પરિણામો આવે છે. જો તમે 1999 થી જોશો તો લોકસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઘણો તફાવત છે. ભાજપ અને કોંગ્રેસ એવું વિચારે છે કે જેડીએસ ખતમ થઈ ગઈ છે તો તેઓ ખોટું વિચારી રહ્યા છે. અમારા પક્ષના કાર્યકરો તેમની તાકાત અને અસ્તિત્વ દેખાડશે. અમારી પહેલી પ્રાથમિકતા અમારી પાર્ટીનો સ્વબળે વિકાસ કરવાની છે.
Advertisement