દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં મણિપુર હિંસા પર સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. દરમિયાન, વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’એ ગુરુવારે એક મોટી બેઠક બોલાવી છે. વિરોધ પક્ષોના સાંસદ કાળાં કપડા પહેરીને બેઠકમાં પહોંચ્યા હતા. મણિપુર મુદ્દે ચર્ચાની મંજૂરી ન આપવા અને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ ન કરવા સામે વિરોધ વ્યક્ત કરવા માટે વિપક્ષી સાંસદો કાળાં કપડા પહેરીને પહોંચ્યા છે. કહેવાય છે કે બેઠકમાં વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ પર પોતાની વ્યૂહનીતિ ઘડી હતી. વિપક્ષ સરકાર સમક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ પર તાત્કાલિક ચર્ચાની માંગ કરશે.
Advertisement
Advertisement
અવિશ્વાસ પ્રસ્તાવ પર હોબાળા બાદ લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત, રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો
આજે સવારે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો, જેને પગલે લોકસભાને બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ સાથે રાજ્યસભા કેટલાં સમય સુધી ચાલશે તે અંગે અસમંજસ પ્રવર્તી રહી છે. હાલ તો રાજ્યસભાની કાર્યવાહી ચાલી રહી છે. રાજ્યસભામાં વિપક્ષ સતત સૂત્રોચ્ચાર કરી રહ્યો છે અને તે સાથે રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે સરકાર જાગી જાય તેના માટે તેઓ કાળા કપડા પહેરીને આવ્યા છે.
સંસદમાં ચાલી રહેલી મડાગાંઠ વિશે સપા નેતા રામ ગોપાલ યાદવે કહ્યું કે કોઈ વિરોધ પ્રદર્શન થશે નહીં… દરેક વ્યક્તિ કાળા કપડા પહેરશે અથવા તેમના હાથની બાંય પર કાળું કપડું બાંધશે… અમે ચિંતિત છીએ કારણ કે મણિપુરની સરહદ મ્યાનમાર સાથે જોડાયેલી છે, ત્યાં લશ્કરી શાસન છે અને તે આતંકવાદીઓને આશ્રય આપે છે.
બીજી તરફ આ મામલાને લઈને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે વડાપ્રધાન મણિપુરના લોકોના ઘા પર મીઠું ભભરાવી રહ્યા છે. જે સમયે આપણે કહી રહ્યા છીએ કે તેમણે મણિપુર જઈને દેશની વ્યવસ્થા સંભાળવી જોઈએ, રાષ્ટ્રના હિતમાં કામ કરવું જોઈએ, તે સમયે તેઓ અહીં ભાષણ આપી રહ્યા છે. આપણને પહેલી વખત એવા પીએમ મળ્યા છે, જે દેશના એક ભાગમાં આગ લાગવા છતાં પણ પોતાના ભાષણમાં મગ્ન છે… આ કાળું કપડું પીએમ મોદીના ઘમંડની વિરુદ્ધ છે.
સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી
હકીકતમાં, મણિપુરમાં ગઈ 3જી મેથી હિંસા ચાલી રહી છે. ત્યાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે. મણિપુર હિંસા પર બંને ગૃહોમાં ધમાસાણ ચાલુ છે. વિપક્ષની માંગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની સાથે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. જ્યારે, સરકાર ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર ચર્ચા કરાવવા માંગે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ બુધવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. સ્પીકર ઓમ બિરલાએ તેનો સ્વીકાર કર્યો છે. જો કે આ સંદર્ભમાં ચર્ચા માટે હજુ તારીખ જાહેર કરવામાં આવી નથી.
Advertisement