જમ્મુ – કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદે કહ્યું કે કલમ 370 હટાવવાનો વિરોધ કરનારાઓને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ – કાશ્મીરના ઈતિહાસ અને ભૂગોળની કોઈ જાણકારી નથી. સુપ્રીમ કોર્ટ કલમ 370 નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જાને રદ કરવાના કેન્દ્રના પગલાની બંધારણીયતાને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે એવા સમયે તેમનું નિવેદન આવ્યું છે.
Advertisement
Advertisement
મને સુપ્રીમ કોર્ટમાં પૂરો વિશ્વાસ છે
આ મહિને રાજ્યમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ પૂર્ણ થયા છે. ગુલામ નબી આઝાદે કહ્યું કે કલમ 370 કોઈ ચોક્કસ પ્રદેશ, પ્રાંત કે ધર્મ માટે ન હતી. પરંતુ તે બધા માટે સમાન રીતે ફાયદાકારક હતી. આ ઉપરાંત કલમ 370 હટાવવાની વિરૂદ્ધ દાખલ થયેલી વિવિધ અરજીઓ પર ચાલી રહેલી સુનાવણી અંગે ગુલામ નબી આઝાદે કહ્યું કે મને સુપ્રીમ કોર્ટમાં પૂરો વિશ્વાસ છે કે તે તમામ પાસાઓ પર વિચારણા કરશે. બીજી બાજુ, ભાજપનો દાવો છે કે કલમ 370 હટી તેના પછી રાજ્યમાં શાંતિ, વિકાસ અને સમૃદ્ધિમાં વધારો થયો છે.
5 ઓગસ્ટે, જમ્મુ – કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાની ચોથી વરસી પર, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો હતો કે તેમને અને અન્ય પાંચ નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, ‘અમને પીડીપીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે નજરકેદ કરવામાં આવ્યા છે. પોલીસે રાત્રે દરોડા પાડી અમારા અનેક આગેવાનોને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દીધા હતા. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવાનો ભારત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે.
મુફ્તીએ પોતાના ટ્વીટમાં વધુમાં કહ્યું કે એક તરફ શ્રીનગરમાં વિશાળ હોર્ડિંગ્સ લગાવીને લોકોને ઉજવણી કરવાનું કહેવામાં આવી રહ્યું છે તો બીજી તરફ લોકોની વાસ્તવિક લાગણીઓને બળપૂર્વક દબાવવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટ આ અંગે નોંધ લેશે અને આગામી દિવસોમાં સુનાવણી દરમિયાન તેને ધ્યાનમાં રાખશે એવી અપેક્ષા છે.
Advertisement