સરકારે 20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રના એક દિવસ પહેલા બુધવારે (19 જુલાઈ) સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સત્રને સુચારૂ રીતે ચલાવવા માટે તમામ પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે. સંસદીય બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર સંસદના ચોમાસુ સત્રની પૂર્વ સંધ્યાએ 19 જુલાઈએ સંસદના લાઈબ્રેરી બિલ્ડિંગમાં બપોરે ત્રણ વાગ્યે બંને ગૃહોના તમામ રાજકીય પક્ષોના નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે.
Advertisement
Advertisement
આ દરમિયાન સંસદના બંને ગૃહોની કુલ 17 બેઠકો પ્રસ્તાવિત છે. ચોમાસુ સત્ર તોફાની બની રહેવાની ધારણા છે. એક તરફ શાસક પક્ષ મહત્વના વિધેયકો પસાર કરાવવા પ્રયાસ કરશે. બીજી તરફ, વિપક્ષ મણિપુર હિંસા, રેલ સુરક્ષા, મોંઘવારી અને અદાણી મામલે જેપીસી રચવાની માંગ સહિત અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.
વિપક્ષ આ મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે
લોકસભા સચિવાલયના એક બુલેટિનમાં જણાવાયું છે કે સંસદના ચોમાસુ સત્ર અથવા 17મી લોકસભાના 12મા સત્ર દરમિયાન હાથ ધરવામાં આવનાર સરકારી કાર્યોની સંભવિત યાદીમાં રજૂ કરવા અને પસાર કરવા માટે 21 નવા વિધેયકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં દિલ્હી નેશનલ કેપિટલ ટેરિટરી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2023 પણ સામેલ છે. સંબંધિત વટહુકમનું સ્થાન લેવા માટે આ બિલ રજૂ કરવામાં આવશે. આમ આદમી પાર્ટી આ મુદ્દે સરકાર પર નિશાન સાધી રહી છે.
સરકાર મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરશે
સરકારી સૂત્રોનું કહેવું છે કે સત્રમાં મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવામાં આવનાર છે, તેવામાં તમામ પક્ષોએ સત્રની કાર્યવાહી ચલાવવામાં સહકાર આપવો જોઈએ કારણ કે સરકાર નિયમો અને પ્રક્રિયાઓ હેઠળ કોઈપણ વિષય પર ચર્ચા કરાવવામાં પાછીપાની કરી રહી નથી. હાલમાં, કોંગ્રેસ પાર્ટીની સંસદીય વ્યૂહરચના જૂથની તાજેતરની બેઠકમાં, સત્ર દરમિયાન, મણિપુર હિંસા, રેલ સુરક્ષા, સંઘીય માળખા પર કથિત હુમલા, GSTને PMLAના ક્ષેત્ર હેઠળ લાવવા અને મોંઘવારી પર ચર્ચા કરાવવાની માંગ ઉઠાવવા પર ભાર મૂકવાની વાત કહેવામાં આવી હતી.
પહેલા આ બેઠક મંગળવારે યોજાવાની હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. પરંતુ, મોટાભાગના પક્ષોના નેતાઓની ગેરહાજરીને કારણે આ બેઠક સ્થગિત કરવામાં આવી હતી. આ વર્ષે અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી પક્ષ અને વિપક્ષ પોતપોતાની વ્યૂહનીતિ ઘડવામાં વ્યસ્ત છે. મંગળવારે જ્યારે વિપક્ષની બેંગલુરુમાં બેઠક થઈ હતી, તો દિલ્હીમાં NDAની બેઠક યોજાઈ હતી.
Advertisement