વિશ્વના શક્તિશાળી જી-20 નેતાઓની યજમાની કરવા માટે ભારત સંપૂર્ણપણે તૈયાર છે. આ માટે સમગ્ર પાટનગરને ભવ્ય રીતે સજાવવામાં આવ્યું છે. આ મેગા પ્રોગ્રામમાં ભાગ લેવા માટે વૈશ્વિક નેતાઓના આગમનનો સિસસિલો શરૂ થઈ ગયો છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની આજે ભારત આવી પહોંચ્યા હતા. આ અગાઉ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડીઝ દિલ્હી પહોંચી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને જાપાનના પીએમ દિલ્હી આવવા રવાના થયા છે. જ્યારે બ્રિટિશ પીએમ ઋષિ સુનક બપોરે ભારત પહોંચવાના છે.
Advertisement
Advertisement
જી-20 સમિટના ભાગરૂપે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિશ્વના નેતાઓનું સ્વાગત કરવા માટે આવતીકાલે રાત્રિભોજનનું આયોજન કર્યું છે. આ ડિનર માટે વિદેશી મહેમાનો ઉપરાંત ભારતના ઘણાં રાજકારણીઓ અને દિગ્ગજ ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
INDIA ગઠબંધનના 3 મોટા નેતા સામેલ થશે
તમને જણાવી દઈએ કે વિપક્ષના INDIA ગઠબંધનના ત્રણ મોટા નેતાઓ ડિનરમાં સામેલ થવાના છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આવતીકાલે રાત્રે કોલકાતાથી દિલ્હી આવવા રવાના થશે. જ્યારે તેઓ 10 સપ્ટેમ્બરની સવારે કોલકાતા પરત ફરે તેવી શક્યતા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન પણ ડિનરમાં હાજરી આપવાના છે.
બિહારના સીએમ નીતિશ કુમાર આજે દિલ્હી જવા રવાના થઈ શકે છે. 12 જુલાઈ 2022ના રોજ પટણામાં થયેલી બેઠક બાદ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર વચ્ચે આ પહેલી મુલાકાત થવા જઈ રહી છે. કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પણ તેમાં ભાગ લે તેવી શક્યતા છે. જોકે, વિપક્ષી ગઠબંધનમાં સામેલ ઘણાં રાજ્યોના સીએમ આ ડિનરમાં સામેલ થઈ શકશે નહીં. જોકે, હેમંત સોરેન, સ્ટાલિન, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન જેવા વિપક્ષના કેટલાંક મુખ્ય પ્રધાનોના સામેલ થવાની પુષ્ટિ થઈ ગઈ છે. તમામ આમંત્રિત મહેમાનોને આવતીકાલે સાંજે એટલે કે શનિવારે સાંજે પોણા છ વાગ્યે સંસદ ભવન પહોંચવાનું જણાવવામાં આવ્યું છે.
ઘણાં દિગ્ગજ ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ અપાયું
રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રીઓ ઉપરાંત ઘણાં મહાનુભાવોને પણ ડિનર માટે આમંત્રિત કર્યા છે. દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, ટાટા સન્સના એન ચંદ્રશેખરન, બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા અને ભારતી એરટેલના સ્થાપક-ચેરમેન સુનીલ ભારતી મિત્તલ સહિત લગભગ 500 મોટા ઉદ્યોગપતિઓને ડિનર માટે આમંત્રણ મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એચડી દેવગૌડા અને સમિટ સાથે જોડાયેલા દેશોના નેતાઓ સિવાય તમામ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓને પણ આમંત્રણ અપાયું છે. જો કે, એચડી દેવેગૌડાએ સ્વાસ્થ્યના કારણોસર ડિનરમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે.
Advertisement