નવી દિલ્હીઃ રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા દરમિયાન એનડીએ સાંસદોએ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પર નકલી સહી કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ હવે રાજ્યસભા તરફથી વિશેષાધિકાર ભંગની નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ પર ‘આપ’ સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે સવારે પત્રકાર પરિષદને સંબોધતા ભારતીય જનતા પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ મારા વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહી છે. આ લોકો રાહુલ ગાંધીની માફક મારું સભ્યપદ પણ છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Advertisement
Advertisement
એનડીએના સાંસદોના આરોપ પર વળતો પ્રહાર કરતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે હું ભાજપના નેતાઓને પડકાર આપું છું કે તેઓ જેના પર નકલી સહીઓ કરવામાં આવી હતી તે કાગળ લઈને આવે. નિયમ પુસ્તિકામાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ સાંસદ કોઈપણ સમિતિની રચના માટે નામનું સૂચન કરી શકે છે અને જે વ્યક્તિનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે તેની ન તો સહી કે લેખિત સંમતિ જરૂરી છે. પરંતુ નકલી સહીઓ કરવામાં આવી હોવાનું જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું હતું.
આ સિવાય પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે હું મીડિયાને અનુરોધ કરું છું કે તેઓ સત્ય દર્શાવે. મીડિયાનો એક નાનકડો વર્ગ મારા વિરુદ્ધ અપપ્રચાર કરી રહ્યો હતો અને મારે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી પડશે. મારે સહીઓ નકલી હોવાનો દાવો કરનારા સાંસદો વિરુદ્ધ પણ કોર્ટ અને વિશેષાધિકાર સમિતિમાં ફરિયાદ નોંધાવવી પડશે.
ઉલ્લેખનીય છે કે કેટલાક સાંસદોનો આરોપ છે કે તેમની સંમતિ વિના ‘આપ’ સાંસદ રાઘવ ચઢ્ઢાએ દિલ્હી એનસીટી સુધારા બિલને સિલેક્ટ કમિટીને મોકલવાના પ્રસ્તાવમાં તેમના નામોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ રાજ્યસભામાંથી તેમની સામે વિશેષાધિકાર ભંગની નોટિસ જારી કરવામાં આવી છે.
Advertisement