દિલ્હીઃ ઈઝરાયલ તેમજ પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે છેલ્લાં એક સપ્તાહથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. તેના કારણે ઘણાં દેશોએ પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. ઈઝરાયલમાં રહેતા ભારતીયોને પરત લાવવા માટે ભારતે પણ ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે. દિલ્હી એરપોર્ટ પર પગ મૂકતાં જ તમામ ભારતીયોએ રાહતનો શ્વાસ લીધો હતો. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારત સરકારના આ સફળ ઓપરેશન પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
Advertisement
Advertisement
ભારત મદદ કરનારો દેશ બન્યો – ઠાકુર
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ‘ઓપરેશન અજય’ હેઠળ બચાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આ ઓપરેશન વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોવિડનો સમય હોય કે યુક્રેન-રશિયા યુદ્ધનો સમય હોય કે આરબ સ્પ્રિંગનો સમય હોય, ભારતે એક પછી એક ઓપરેશન કર્યા છે અને ભારતીયોને બચાવ્યા છે, છેલ્લાં સાડા નવ વર્ષથી આ થઈ રહ્યું છે. આપણા નાગરિકો જ નહીં, બીજા દેશોના નાગરિકોને પણ આપણે બચાવ્યા છે… આજે ભારત મદદ માંગતું નથી, મદદ આપે છે.
ઈઝરાયલથી 212 ભારતીય નાગરિકોને લઈને પહેલી ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી ત્યારે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એરપોર્ટ પર નાગરિકોનું સ્વાગત કર્યું હતું. આ અવસર પર તેમણે કહ્યું કે અમારી સરકાર ક્યારેય કોઈપણ ભારતીયને છોડી દેશે નહીં. અમારી સરકાર અને વડાપ્રધાન તેમની સુરક્ષા માટે અને તેમને સુરક્ષિત રીતે ઘરે પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. અમે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, વિદેશ મંત્રાલયની ટીમ અને એર ઈન્ડિયાની આ ફ્લાઈટના ક્રૂના આભારી છીએ જેમણે આ શક્ય બનાવ્યું, અમારા બાળકોને સુરક્ષિત અને સ્વસ્થ ઘરે પાછા લાવ્યા અને તેમના પ્રિયજનોને પાછા પહોંચાડ્યા છે.
સ્વદેશાગમન પર લોકોએ આભાર માન્યો
ઓપરેશન અજય હેઠળ ઇઝરાયલથી ભારત લાવવામાં આવેલા એક ભારતીય નાગરિકે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ઇઝરાયલમાં યુદ્ધ શરૂ થયા બાદ અમને ભારતથી અમારા પરિવાર અને મિત્રોના ફોન આવવા લાગ્યા, દરેકને અમારી ચિંતા હતી. આ ઓપરેશન દ્વારા અમને ઈઝરાયલથી સુરક્ષિત રીતે ભારત લાવવા બદલ હું ભારત સરકાર અને ભારતના વિદેશ મંત્રાલયનો આભાર માનું છું. બીજા પ્રવાસીએ કહ્યું કે જ્યારે આ બધું શરૂ થયું ત્યારે અમે બીજા દિવસથી જ ભારત સરકારના સંપર્કમાં હતા. તેઓ વોટ્સએપ ગ્રુપ પર એક્ટિવ હતા અને અમારા સંપર્કમાં હતા. તેઓ અમને તમામ માહિતી પૂરી પાડીને સહકાર આપતા હતા.
Advertisement