દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. બિલ પર ચર્ચા કરતા અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારને કાયદો બનાવવાનો અધિકાર છે. દિલ્હી સંપૂર્ણ રાજ્ય નથી. તે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ મામલે દિલ્હી સરકારને સત્તા આપી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા એક વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
દિલ્હી અંગે કાયદો ઘડવાનો સંસદનો અધિકારઃ અમિત શાહ
ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) બિલ, 2023 વિશે ચર્ચા પર લોકસભામાં બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ વટહુકમ સુપ્રીમ કોર્ટના આદેશનો સંદર્ભ આપે છે જે કહે છે કે સંસદને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સાથે સંબંધિત કોઈ પણ મુદ્દા પર કાયદા ઘડવાનો અધિકાર છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે વર્ષ 2015માં દિલ્હીમાં એક એવી પાર્ટી સત્તા પર આવી જેનો ઉદ્દેશ્ય માત્ર લડવાનો જ હતો, સેવા કરવાનો નથી. તેમાં સમસ્યા માત્ર ટ્રાન્સફર – પોસ્ટિંગ કરવાનો અધિકાર મેળવવાની નથી, પરંતુ પોતાના બંગલા બનાવવા જેવા ભ્રષ્ટાચારને છુપાવવા માટે વિજિલન્સ વિભાગ પર કબજો કરવાની છે.
અમિત શાહે વિપક્ષને સલાહ આપી
ગૃહમાં બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે હું તમામ પક્ષોને કહેવા માગું છું કે ચૂંટણી જીતવા માટે કોઈપણ પક્ષનું સમર્થન કે વિરોધ કરવું, આવી રાજનીતિ ન કરવી જોઈએ. નવું ગઠબંધન બનાવવાના ઘણાં રસ્તા છે. ખરડા અને કાયદા દેશના ભલા માટે લાવવામાં આવે છે, તેથી તેનો વિરોધ અને સમર્થન દિલ્હીના કલ્યાણ માટે કરવો જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, રાજાજી, રાજેન્દ્ર પ્રસાદ અને ડૉ. આંબેડકર દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના વિરોધમાં હતા. શાહે વધુમાં દાવો કરતાં કહ્યું કે વિપક્ષના નવા ગઠબંધન પછી પણ નરેન્દ્ર મોદી ફરીથી પૂર્ણ બહુમતી સાથે વડાપ્રધાન બનશે.
અધીર રંજન ચૌધરીએ વિરોધ કર્યો
કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (એમેન્ડમેન્ટ) બિલ 2023નો વિરોધ કરતાં લોકસભામાં કહ્યું કે દિલ્હીમાં આવા ચેડાં થતાં રહેશે તો તમે અન્ય રાજ્યો માટે પણ આવા બિલ લાવતા રહેશો. જો તમને લાગતું હોય કે અહીં કોઈ કૌભાંડ થાય છે, તો તેના માટે તમારે આ બિલ લાવવાની જરૂર હતી ? તમારી પાસે ED,CBI,IT છે, તમે તેનો ઉપયોગ કેમ નથી કરતા?
Advertisement