રાજ્યસભામાં ગઈ કાલે આખો દિવસ દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા ચાલી હતી અને વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. પરંતુ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા બાદ આ બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. આ બિલ ગુરુવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જે બાદ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ બિલને મંજૂરી આપવામાં આવી છે. ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) બિલ લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. ભારે હોબાળા વચ્ચે દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. આ બિલ પર વોટિંગ થયું હતું, જેમાં બિલના સમર્થનમાં કુલ 131 વોટ પડ્યા જ્યારે બિલની વિરુદ્ધમાં 102 વોટ પડ્યા હતા.
Advertisement
Advertisement
બંને ગૃહોમાં બિલ પાસ, હવે રાષ્ટ્રપતિની મંજૂરીની પ્રતિક્ષા
હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળવાની બાકી છે, ત્યારબાદ તે કાયદો બની જશે. રાજ્યસભામાં મતદાન માટે પહેલા મશીનથી મતદાનની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ થોડીવાર પછી મશીનમાં ખામી સર્જાતા ઉપસભાપતિએ જાહેરાત કરી હતી કે મતદાન બેલેટ પેપરથી થશે. આ દરમિયાન કેટલાંક વિપક્ષી સાંસદોએ દિલ્હી સર્વિસ બિલ પર સૂચનો પણ આપ્યા હતા. જો કે અંતે બિલ બહુમતીથી પસાર થયું હતું.
બિલ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન નથી: અમિત શાહ
રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પરની ચર્ચાના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ બિલ એ વાતનો પૂરાવો આપશે કે સુપ્રીમ કોર્ટના આદેશનું કોઈપણ દ્રષ્ટિકોણથી ઉલ્લંઘન થયું નથી. અમે આ બિલ સત્તાને કેન્દ્રમાં લાવવા માટે નહીં પરંતુ કેન્દ્રને અપાયેલી સત્તા પર દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર દ્વારા થઈ રહેલા અતિક્રમણને કાયદાકીય રીતે રોકવા માટે આ બિલ લાવ્યા છીએ. બંધારણ સભામાં પ્રથમ બંધારણીય સુધારો પસાર કરવામાં આવ્યો હતો. ત્યારથી બંધારણ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમે કટોકટી લાદવા માટે બંધારણમાં ફેરફાર કર્યા નથી. અમે તે સમયના તત્કાલિન વડાપ્રધાનની સદસ્યતાને પુનર્જીવિત કરવા માટે બંધારણમાં કોઈ ફેરફાર નથી કર્યા.
નેશનલ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશન (બિલ) 2023 પર રાજ્યસભામાં ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે દિલ્હીમાં સરળતાપૂર્વકનું ભ્રષ્ટાચાર મુક્ત શાસન હોય તેવો આ બિલનો હેતુ છે. બિલની એક પણ જોગવાઈથી જે સિસ્ટમ પહેલા હતી, તે સિસ્ટમમાં એક ઈંચ જેટલો પણ ફેરફાર થઈ રહ્યો નથી. ઘણી વખત કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે દિલ્હીમાં ભાજપની સરકાર હતી, ઘણી વખત કેન્દ્રમાં ભાજપની સરકાર હતી અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી, તે સમયે ટ્રાન્સફર પોસ્ટિંગને લઈને ક્યારેય કોઈ વિવાદ થયો ન હતો. તે સમયે આ જ સિસ્ટમ દ્વારા નિર્ણયો લેવાતા હતા અને કોઈપણ મુખ્યમંત્રીને કોઈ પણ સમસ્યા થઈ ન હતી. ઘણાં સભ્યો દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રએ સત્તા પોતાના હાથમાં લેવાની છે. અમારે સત્તા લેવાની જરૂર નથી કારણ કે 130 કરોડ લોકોએ અમને સત્તા આપી છે.
Advertisement