દિલ્હી: મણિપુર હિંસા અંગે સંસદમાં હોબાળો ચાલુ છે અને વિરોધ પક્ષો સતત કેન્દ્ર પર હુમલો કરી રહ્યા છે. દરમિયાન, ગઈકાલે વિપક્ષી સાંસદોનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું અને મણિપુર મુદ્દે તેમની દરમિયાનગીરીની માંગ કરી. એટલું જ નહીં, વિપક્ષે કહ્યું કે મણિપુરના બે અલગ-અલગ સમુદાયની બે મહિલાઓને રાજ્યસભામાં નિયુક્ત કરવામાં આવે જેથી તેઓ સંસદમાં પોતાનો અવાજ ઉઠાવી શકે.
Advertisement
Advertisement
વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. દ્વારા મણિપુરની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપરત કરાયેલ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે, “અમે વધુ વિલંબ વિના રાજ્યમાં શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક આપના હસ્તક્ષેપની વિનંતી કરીએ છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ અસરગ્રસ્ત સમુદાયોને ન્યાય આપવા માટે તેમની ફરજ નિભાવવી જોઈએ. અમે આપને વિનંતી કરીએ છીએ કે મણિપુરની વર્તમાન પરિસ્થિતિ પર સંસદને તાત્કાલિક સંબોધિત કરવા વડા પ્રધાન પર દબાણ કરવામાં આવે, ત્યારબાદ આ મુદ્દે વિસ્તૃત અને વ્યાપક ચર્ચા કરવામાં આવે.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં વિપક્ષી સાંસદોનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યું હતું અને મણિપુરની મુલાકાત બાદ વિપક્ષના 21 સાંસદોએ તૈયાર કરેલો અહેવાલ તેમને આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિને મળ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મણિપુર અંગે એક મેમોરેન્ડમ રાષ્ટ્રપતિને સુપરત કરવામાં આવ્યું છે અને તેમને મણિપુર મુદ્દે હસ્તક્ષેપ માટે વિનંતી કરવામાં આવી છે. આ મામલે રાષ્ટ્રપતિએ ખાતરી આપી છે કે તેઓ તેના પર વિચાર કરશે.
વધુમાં તેમણે કહ્યું કે I.N.D.I.A. ગઠબંધનના 31 સભ્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. અમે રાષ્ટ્રપતિને મણિપુરમાં ખાસ કરીને મહિલાઓ પર અત્યાચાર, પુનર્વસન અને અન્ય પરિસ્થિતિઓ વિશે જાણ કરી. અમારી મુખ્ય માગણી એ છે કે વડાપ્રધાને મણિપુરની મુલાકાત લેવી જોઈએ અને રાજ્યમાં શાંતિ સ્થાપવા પગલાં ભરવા જોઈએ.
Advertisement