કોંગ્રેસે લોકસભામાં અધીર રંજન ચૌધરીને સસ્પેન્ડ કરવાના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે અને તે સરકાર સાથે લડી લેવાના મૂડમાં હોય તેવું જણાય છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સંસદીય સમિતિના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે સવારે પાર્ટીના સાંસદોની બેઠક બોલાવી છે. આ બેઠક અધીર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાના મુદ્દે યોજાશે. ગુરુવારે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં અધીર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને ધ્વનિ મતથી મંજૂર કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
પીએમ મોદી પર ટિપ્પણી કરી
અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અધીર રંજન ચૌધરીએ પોતાના સંબોધનમાં મહાભારતના એક સંદર્ભને ટાંકીને વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેના પર શાસક પક્ષના સાંસદોએ આકરી પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ ગૃહમાં હાજર હતા. જેના કારણે પ્રહલાદ જોશીએ અધીર રંજન સામે સસ્પેન્શનની દરખાસ્ત રજૂ કરી હતી. હાલ, આ મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો છે, ત્યાં સુધી અધીર રંજન ચૌધરી ગૃહમાંથી સસ્પેન્ડ રહેશે.
અધીર રંજન ચૌધરીએ સ્પષ્ટતા કરી
બીજી તરફ અધીર રંજન ચૌધરીએ આ વિવાદ પર સ્પષ્ટતા આપતા કહ્યું કે મેં વડાપ્રધાનનું અપમાન કર્યું નથી. મોદીજી દરેક વાત પર બોલે છે. પરંતુ મણિપુર મુદ્દે તેઓ ‘નીરવ’ બેઠા છે. જેનો અર્થ થાય છે ‘ચુપચાપ બેસી રહેવું’. પીએમ મોદીને એવું નથી લાગ્યું કે તેમનું અપમાન કરવામાં આવ્યું છે. પરંતુ તેમના દરબારીઓને એવું લાગ્યું અને મારી સામે સસ્પેન્શનનો પ્રસ્તાવ લાવ્યા.
કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ પણ અધીર રંજનના સસ્પેન્શનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. મનીષ તિવારીએ કહ્યું કે આ બંધારણની કલમ 105(1)નું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. તેની અસર સંસદ અને વિધાનસભામાં લોકશાહી અને વાણી સ્વાતંત્ર્ય પર પડશે. મનીષ તિવારીએ સંકેત આપ્યો કે પક્ષ આ મામલાને કોર્ટમાં પડકારી શકે છે.
ભાજપાએ કહ્યું – આ તેમની આદત બની ગઈ છે
જ્યારે પ્રહલાદ જોશીએ કહ્યું કે આ તેમની (અધીર) આદત બની ગઈ છે. તેઓ ગૃહમાં કોંગ્રેસ પક્ષના નેતા છે. પરંતુ વારંવારની ચેતવણીઓ છતાં તેઓ પોતાની જાતને સુધારતા નથી. તેઓ હંમેશા તેમના ભાષણોમાં પાયાવિહોણા આરોપો લગાવે છે અને સરકારની પ્રતિષ્ઠાને ઘટાડવાનો પ્રયાસ કરે છે. તેમની દલીલોમાં કોઈ તથ્ય હોતું નથી અને તે ક્યારેય માફી માંગતા નથી. અમે માંગ કરીએ છીએ કે તેઓ માફી માંગે. ગૃહમંત્રી અમિત શાહે ગૃહને સંબોધન કર્યું ત્યારે તેમણે (અધીર રંજન) એવું જ કર્યું હતું .
Advertisement