દિલ્હીઃ અદાણી ગ્રૂપ વિશે એક મોટો ખુલાસો થતાં ગ્રૂપના માલિક ગૌતમ અદાણી ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા હિંડનબર્ગ અને હવે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP)દ્વારા કરાયેલા સનસનાટીભર્યા આરોપોને પગલે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને આ દરમિયાન અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં ભારે ઘટાડો નોંધાયો છે. અદાણી સામેના આ ઘટસ્ફોટ બાદ કોંગ્રેસે ફરી કેન્દ્રની મોદી સરકારને ઘેરવાની શરૂઆત કરી દીધી છે.
Advertisement
Advertisement
આ ખુલાસા બાદ કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 28 જાન્યુઆરીથી 28 માર્ચ સુધી કોંગ્રેસ પાર્ટીએ અદાણી અંગે વડાપ્રધાનને 100 પ્રશ્નો પૂછ્યા, અમારી પાસે એવી કોઈ માહિતી નથી કે અદાણીની 20,000 કરોડની શેલ કંપનીઓના માલિક કોણ છે. લોકસભામાં રાહુલ ગાંધી અદાણીના મુદ્દે બોલ્યા અને સંસદમાંથી તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા. આ અદાણીનો મુદ્દો નથી, ‘મોદાણી’નો મુદ્દો છે. ખરો મુદ્દો વડાપ્રધાન મોદી અને અદાણી વચ્ચેનો સંબંધ છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરશે
કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે અદાણી મુદ્દે તાજેતરમાં થયેલા ખુલાસા અંગે રાહુલ ગાંધી આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરશે. જયરામ રમેશે ફરી એકવાર અદાણી અંગેના ખુલાસાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો અને સંખ્યાબંધ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. આજે પણ અમે એક જ પ્રશ્ન પૂછીએ છીએ કે અદાણીની શેલ કંપનીઓમાં 20 હજાર કરોડનો માલિક કોણ છે ? તેમણે ફરી એકવાર અદાણી કેસની તપાસ માટે જેપીસીની રચનાની માંગ કરી.
અદાણી ગ્રુપે નવા ખુલાસા અંગે શું કહ્યું?
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવેલા સનસનાટીભર્યા આરોપો બાદ અદાણી ગ્રુપે એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે આ આરોપોને ફગાવીએ છીએ. એવું લાગે છે કે આ જ્યોર્જ સોરોસ દ્વારા સમર્થિત સંગઠનો દ્વારા લેવાયેલું પગલું છે અને એટલે સુધી કે વિદેશી મીડિયાનો એક વર્ગ પણ હિંડનબર્ગ રિપોર્ટને પુનર્જીવિત કરવા માટે તેને પ્રોત્સાહન આપી રહ્યો છે. આ દાવા એક દાયકા પહેલા બંધ થયેલા કેસ પર આધારિત છે.
Advertisement