લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્યમાં કોઈ મહિલાઓની સતામણી કે છોકરીઓની છેડતી જેવા ગુના કરશે, તો આગળના ચાર રસ્તે ‘યમરાજ’ તેની રાહ જોતા હશે. મુખ્યમંત્રીની આ ટિપ્પણી આંબેડકર નગરમાં છેડતી દરમિયાન દુપટ્ટો ખેંચાયા બાદ રસ્તા પર પડી ગયેલી ધોરણ 11ની વિદ્યાર્થીનીના મોત બાદ આવી છે. આ શરમજનક ઘટના બની ત્યારે વિદ્યાર્થિની તેની બહેન સાથે સાયકલ પર ટ્યુશન માટે જઈ રહી હતી, ત્યારે રસ્તામાં ત્રણ યુવકોએ તેની છેડતી કરી અને દુપટ્ટો ખેંચી લીધો. પાછળથી આવતી બાઇકની ટક્કરથી વિદ્યાર્થીની રોડ પર પડી ગઈ અને તેનું મોત થયું હતું.
Advertisement
Advertisement
આ ઘટના ગત શુક્રવારે બની હતી. આ કેસમાં શનિવારે રાત્રે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે રવિવારે એન્કાઉન્ટરમાં બે આરોપીઓને ગોળી વાગી હતી અને એકનો પગ તૂટી ગયો હતો. આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે ગોળીબાર કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.
કાયદો સુરક્ષા માટે છે-યોગી
આ પ્રસંગે પોતાના સંબોધનમાં યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થા માટે મજબૂત કાયદાકીય સિસ્ટમના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. કાયદાનો દુરુપયોગ કરીને કોઈને પણ વ્યવસ્થા ખોરવી દેવાની પરવાનગી ન હોવી જોઈએ તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કાયદો સુરક્ષા માટે છે અને જો કોઈ મહિલાઓને હેરાન કરવા જેવો ગુનો કરશે તો ‘યમરાજ’ આગળના ચોકમાં તેની રાહ જોતા હશે.
ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ
આંબેડકર નગર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં 11મા ધોરણની વિદ્યાર્થિની અન્ય છોકરી સાથે સાઇકલ પર જતી જોવા મળે છે. આ દરમિયાન એક મોટરસાઇકલ પર ત્રણ બદમાશો આવ્યા અને પાછળની સીટ પર બેઠેલા યુવકે વિદ્યાર્થિનીનો દુપટ્ટો ખેંચી લીધો, સંતુલન ગુમાવવાને કારણે તે જમીન પર પડી અને પાછળથી આવતી અન્ય એક મોટરસાઇકલ તેને કચડી નાંખી. આ અકસ્માતમાં પીડિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
Advertisement