મુંબઈ: NCPમાંથી બળવો કરીને અજિત પવાર મહારાષ્ટ્ર સરકારમાં જોડાઈ ગયા છે. તેના કારણે મુખ્યમંત્રી એકનાથ શિંદે નારાજ છે. સીએમ શિંદે અને ફડણવીસ વચ્ચે યોજાયેલી બેઠક ગઈકાલે રાત્રે બે વાગ્યા સુધી ચાલી હતી, જેના કારણે અટકળો તેજ થઈ ગઈ છે. એવું કહેવાય છે કે આ બેઠકમાં સત્તાની વહેંચણી, નવા સંજોગોમાં કોને કઈ જવાબદારી સોંપવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી જેથી શિવસેનાના ધારાસભ્યો નારાજ ન થાય અને સરકાર ચાલતી રહે. અજિત પવાર સરકારમાં નવા ડેપ્યુટી સીએમ બન્યા છે અને તેમના સમર્થક 8 અન્ય ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધાં છે.
Advertisement
Advertisement
શિંદેની બેઠકમાં કેબિનેટ વિસ્તરણ પર ચર્ચા
સૂત્રોનું કહેવું છે કે ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચેની બેઠકમાં કેબિનેટ વિસ્તરણ પર પણ ચર્ચા થઈ હતી. ટૂંક સમયમાં મહારાષ્ટ્ર સરકારમાં કેટલાંક વધુ મંત્રીઓ શપથ લેશે તેવી શક્યતા છે. એકનાથ શિંદે જૂથ અને ભાજપમાંથી આ મંત્રીઓને લેવામાં આવશે. એકનાથ શિંદે સાથે એવા ઘણાં ધારાસભ્યો આવ્યા છે જે ઉદ્ધવ સરકારમાં મંત્રી હતા, પરંતુ, તેમને આજ સુધી તક મળી નથી. તેમનું કહેવું છે કે અજિત પવારના પ્રવેશથી તેમના અધિકારો છીનવાઈ જાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં તમામને સાધવા માટે કેબિનેટ વિસ્તરણની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
એકનાથ શિંદેની ખુરશી જોખમમાં ?
અજિત પવારની એન્ટ્રી બાદ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે હવે એકનાથ શિંદેની મુખ્યમંત્રીની ખુરશી ખતરામાં છે. જો કે, ભાજપે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે એકનાથ શિંદે સીએમ તરીકે ચાલુ રહેશે અને અમે તેમના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી લડીશું. સીએમ એકનાથ શિંદેના કહેવા પ્રમાણે, તમામ નેતાઓ અમારી સાથે છે અને આ અફવા કોણ ફેલાવી રહ્યું છે તે તેઓ જાણે છે.
શિંદે થોડા દિવસોના મહેમાન – સંજય રાઉત
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં મોટું ભંગાણ થયાં બાદ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે મોટો દાવો કર્યો હતો કે શિંદે થોડા દિવસોના મહેમાન છે. તેમણે કહ્યું હતું કે આ પરિવર્તન નથી પરંતુ બદલો લેવાનો તબક્કો છે. તમે એકનાથ શિંદેનો ચહેરો જોયો ? મંત્રીમંડળમાં અજિત પવારના પ્રવેશનો અર્થ એ છે કે એકનાથ શિંદે વિદાય લઈ રહ્યા છે, હવે એકનાથ શિંદે મુખ્યમંત્રી નહીં રહે. અમને પહેલેથી જ ખબર હતી કે આ પ્રક્રિયા ચાલી રહી છે. આ વિશે મેં અગાઉ પણ કહ્યું હતું કે આવું થઈ શકે છે. એકનાથ શિંદે પર જે ડિસક્વોલિફિકેશનની તલવાર લટકી રહી હતી તે ટૂંક સમયમાં જ પડવાની છે. તેમની સાથે ગયેલા 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે. થોડાં જ દિવસોમાં મહારાષ્ટ્રને વધુ એક મુખ્યમંત્રી મળશે.
Advertisement