બિહારના સીએમ નીતિશ કુમારે મહાગઠબંધન સાથે સંબંધ તોડવા બદલ હિન્દુસ્તાની અવામ મોરચાના વડા જીતન રામ માંઝી પર નિશાન સાધ્યું છે અને તેમને ભાજપના બાતમીદાર ગણાવ્યા છે. થોડાં દિવસો પહેલા જિતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમને નીતિશની કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેમના પર પાર્ટીમાં વિલીનીકરણ માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમના પુત્રના રાજીનામા સાથે, માંઝીની પાર્ટી બિહાર મહાગઠબંધનથી અલગ થઈ ગઈ છે.
Advertisement
Advertisement
હિન્દુસ્તાની અવામ મોરચાના વડા જીતન રામ માંઝીના પુત્ર ડો. સંતોષ કુમાર સુમનના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે મેં પોતે રાજીનામું આપીને તેમને (જીતન રામ માંઝી) સીએમ બનાવ્યા હતા, અત્યારે તેઓ શું કહે છે તે સૌ જાણે છે. બધાને ખબર હતી કે તે ભાજપના લોકોને મળતા હતા અને પછી અમારી પાસે પણ આવતા હતા. મેં એમને કહ્યું કે અમે તમને આટલા મોટા બનાવ્યા છે, તો તમે તમારી પાર્ટીનું વિલીનીકરણ કરો. ત્યારે તેમણે કહ્યું કે ઠીક છે, આપણે અલગ થઈ જઈએ.
સારું થયું કે તે અમારાથી અલગ થઈ ગયા – નીતિશ કુમાર
આ ઉપરાંત, નીતિશ કુમારે જીતનરામ માંઝી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ અમારી સાથે હોવા છતાં સતત બીજેપીના લોકોને મળતા હતા. સારું છે કે હવે તે અમારાથી અલગ થઈ ગયા. હવે વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાવાની છે. તેઓ આ સભામાં હાજર રહ્યા હોત તો અમારી બેઠકની આંતરિક બાબતો ભાજપને પહોંચાડી દેતા, તેથી સારું થયું કે તેમણે અમારો સાથ છોડી દીધો.
માંઝી NDAમાં જોડાવાની શક્યતા
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ માંઝી ફરી એકવાર NDAમાં સામેલ થઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે. જીતનરામ માંઝીએ 19 જૂને પટણામાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભાવિ વિકલ્પો વિશે ચર્ચા કરવામાં આવશે અને માંઝી ટૂંક સમયમાં એનડીએમાં જોડાશે તે લગભગ નિશ્ચિત છે. મહાગઠબંધનમાંથી અલગ થઈ ગયા પછી જીતનરામ માંઝીએ બુધવારે કહ્યું કે તેમની પાર્ટી પૈસાથી ખરીદી શકાય તેવી દુકાન નથી. તેમણે વધુમાં કહ્યું કે નીતિશ કુમારની પાર્ટી વિલય માટે સતત અમારા પર દબાણ કરી રહી હતી. અમારો પક્ષ ભવિષ્યમાં પણ સંઘર્ષ ચાલુ રાખશે.
Advertisement