મુંબઈઃ શરદ પવારની પાર્ટી NCP અત્યારે રાજનીતિમાં સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. ભત્રીજા અજિત પવાર અને નજીકના નેતાઓ બળવો કરીને NDAમાં જોડાઈ ગયા છે અને મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકારનો ભાગ બની ગયા છે. આ બળવા પછી શુક્રવારે મંત્રી પદની ફાળવણી અંગેની મડાગાંઠનો પણ અંત આવ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ખાતાઓની ફાળવણી કરી દીધી છે.
Advertisement
Advertisement
જાણો કોને કયું ખાતું મળ્યું ?
મહારાષ્ટ્રના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી અજિત પવારને નાણાં અને આયોજનનો પોર્ટફોલિયો મળ્યો છે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી છગન ભુજબળને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, રાહત અને પુનર્વસન વિભાગ, કેબિનેટ મંત્રી અનિલ પાટીલને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ, અદિતિ સુનિલ તટકરેને મહિલા અને બાળ વિકાસ, ધનંજય મુંડેને કૃષિ અને મહેસૂલ, પશુપાલન અને ડેરી વિભાગ આપવામાં આવ્યા છે. દિલીપ વાલસે પાટીલને મહેસૂલ અને ડેરી વિકાસ વિભાગ સોંપાયો છે.
નાણાં મંત્રાલય અંગે અજિત પવાર આક્રમક હતા
અજિત પવાર નાણાં અને સહકાર મંત્રાલય NCP પાસે રાખવા માટે આક્રમક હતા. અજિત પવાર જૂથ નાણાંની સાથે સહકારી મંત્રાલય મેળવવા માટે આક્રમક હતું, કારણ કે તે NCP માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. એનસીપીના ડઝનથી વધુ નેતાઓ સહકારી અથવા ખાનગી સુગર મિલો ચલાવી રહ્યા છે. આ સાથે સહકારી બેંકો પર પણ તેમનું નિયંત્રણ છે. તે બંને ક્ષેત્રોમાં તેમને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આવી સ્થિતિમાં હવે સહકાર મંત્રાલય તેમની પાસે આવવાથી તેમની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે. વિભાગોની ફાળવણી થયાં બાદ અજિત પવારે નાણાં અને આયોજન વિભાગના કેબિનેટ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.
NCPમાં બળવો ક્યારે થયો?
શરદ પવારની આગેવાની હેઠળની NCP ગઈ બીજી જુલાઈના રોજ વિભાજિત થઈ હતી, કારણ કે તેમના ભત્રીજા અજિત પવાર અને લગભગ ત્રણ ડઝન ધારાસભ્યો સત્તાધારી શિવસેના- ભાજપ ગઠબંધનમાં જોડાયા હતા. અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા અને NCPના અન્ય આઠ નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. ત્યારથી પોર્ટફોલિયોની ફાળવણીને લઈને મડાગાંઠ ચાલી રહી હતી.
Advertisement