દિલ્હીઃ લોકસભામાં ચંદ્રયાન-3 મિશન પર ચર્ચા દરમિયાન ભાજપ સાંસદ રમેશ બિધુરીએ બસપા સાંસદ દાનિશ અલી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેની ચોતરફ ટીકા થઈ રહી છે. ચર્ચા દરમિયાન જ્યારે રમેશ બિધુરીને અટકાવવામાં આવ્યા ત્યારે તે ગુસ્સે થઈ ગયા અને તેમણે દાનિશ અલીને ઉગ્રવાદી, આતંકવાદી, મુલ્લા અને અન્ય ઘણાં અપશબ્દો કહ્યા. આ અંગે લોકસભાના અધ્યક્ષે તેમને ચેતવણી આપી હતી અને તેમનું ભાષણ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. આ મામલે વિપક્ષ ગુસ્સે ભરાયો હતો અને ભાજપના સાંસદનું સભ્યપદ રદ કરવાની માંગ કરી હતી.
Advertisement
Advertisement
આ મામલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં ખેદ વ્યક્ત કર્યો હતો અને માફી માંગી હતી. તેમણે કહ્યું કે તેમણે આ ટિપ્પણીઓ સાંભળી નથી અને સ્પીકરને વિનંતી કરી કે જો વિપક્ષી સભ્યોને આ ટિપ્પણીઓથી દુઃખ થયું હોય તો તેમને કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવે.
શું છે સમગ્ર મામલો?
ગુરુવારે સંસદના વિશેષ સત્રના ચોથા દિવસે, ભાજપ સાંસદ રમેશ બિધુરી લોકસભામાં ચંદ્રયાન-3ની સફળતા વિશે બોલી રહ્યા હતા અને તેનો શ્રેય પીએમ મોદીને આપવાનો આગ્રહ કરી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન જ્યારે બસપા સાંસદ દાનિશ અલીએ તેમને રોક્યા તો તેઓ ગુસ્સે થઈ ગયા અને ગૃહમાં જ દાનિશ અલી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવા લાગ્યા. તેમણે દાનિશ અલી માટે ઉગ્રવાદી, આતંકવાદી, મુલ્લા વગેરે જેવા મુસ્લિમ વિરોધી શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.
રોષે ભરાયેલા વિપક્ષની સભ્યપદ રદ કરવાની માંગણી
રમેશ બિધુરીના નિવેદન પર કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે તેમણે દાનિશ અલીજીને જે કહ્યું છે તે અત્યંત નિંદનીય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે માફી માંગી છે જે અપૂરતી છે. ગૃહની અંદર કે બહાર આવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે નવી સંસદ ભવનની શરૂઆત નારીશક્તિથી થઈ છે. પરંતુ આની શરૂઆત રમેશ બધુરીથી થઈ છે… આ રમેશ બિધુરીની નહીં પણ ભાજપ પાર્ટીની વિચારસરણી છે. અમારી માંગ છે કે રમેશ બિધુરીનું સભ્યપદ રદ કરવામાં આવે.
આ મામલાને લઈને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેમણે માત્ર ‘આતંકવાદી’ કહ્યું હોત તો અમને તો તેની આદત છે… આ શબ્દોનો ઉપયોગ સમગ્ર મુસ્લિમ સમુદાય વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. હું સમજી શકતો નથી કે ભાજપ સાથે જોડાયેલા મુસ્લિમો આ કેવી રીતે સહન કરશે ? આ બતાવે છે કે તેઓ અમારા વિશે શું વિચારે છે ? તેમને શરમ આવવી જોઈએ.
Advertisement