દિલ્હીઃ દેશના ઘણાં રાજ્યોમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. આજે એક મહત્વનો નિર્ણય લેતાં ભાજપે ચાર રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલી નાંખ્યા છે. તાજેતરમાં પીએમ મોદીના નિવાસસ્થાને મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં આ નામો પર ચર્ચા બાદ હવે મંજૂરીની મહોર લગાવવામાં આવી છે.
Advertisement
Advertisement
આ રાજ્યોના પ્રદેશ પ્રમુખ બદલાયા
ભાજપના કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીની તેલંગાણાના પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, ડી. પુરંદેશ્વરીને આંધ્ર પ્રદેશ ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે, પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ બન્યા, આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સુનીલ જાખડને પણ પક્ષે મોટી ભેટ આપી છે અને તેમને પંજાબમાં પક્ષના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ પક્ષના મોવડીમંડળે રાજેન્દ્ર અટીલાને ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે.
પીએમ મોદી-શાહ અને નડ્ડા વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ
આ પહેલાં 28 જૂને મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટી સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સાથે મુલાકાત કરી હતી. ત્યારપછી આ બેઠકમાં સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારોની ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ બદલવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ આજે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બદલવાની જાહેરાત થઈ નથી, જેથી ભાજપ આગામી લોકસભાની ચૂંટણી પ્રદેશ પ્રમુખ પાટીલના નેતૃત્વમાં લડશે તેવા સંપૂર્ણ સંકેતો મળી રહ્યા છે.
આ કારણે ફેરફાર થયા
તાજેતરમાં યોજાયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજય બાદ ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની ચૂંટણી વ્યવસ્થાપન સમિતિને મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું છે. ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર અટીલાની નિમણૂક કરવામાં આવી છે. દરમિયાન, બિહારના સીએમ નીતિશ કુમારની પહેલ પર વિપક્ષી દળોએ પટણામાં બેઠક યોજીને મોદી સરકાર સામે મોરચો ખોલી દીધો છે. આગામી કેટલાંક મહિનામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. કર્ણાટકમાં હાર બાદ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓએ પોતાની રણનીતિ ઘડવાની કવાયત તેજ કરી દીધી છે.
Advertisement