પટણાઃ ગઈકાલે ભાજપે બિહારની નીતિશ સરકાર વિરુદ્ધ ગાંધી મેદાનથી ‘વિધાનસભા માર્ચ’ યોજી હતી. કૂચ દરમિયાન પોલીસે ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો. જહાનાબાદના બીજેપી મહામંત્રી વિજય સિંહનું પોલીસ લાઠીચાર્જમાં ઈજા બાદ મૃત્યુ થયું હતું. હવે ભાજપના નેતાઓએ આ મામલા અંગે સીએમ નીતિશ કુમાર પર પ્રહારો કર્યા છે અને આ લડાઈને સડકથી ગૃહ સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી દીધી છે.
Advertisement
Advertisement
બીજી તરફ આ ઘટના અંગે ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે બિહારમાં નીતિશ કુમાર સરકાર દ્વારા ભાજપના કાર્યકરો પર જે હુમલો કરવામાં આવ્યો તેની હું નિંદા કરું છું. નીતિશ કુમાર જી, જ્યારથી તમે મમતા બેનરજી સાથે મિત્રતા કરી છે, તમે તેમનો માર્ગ જ અપનાવી લીધો છે? આ અથડામણમાં અમારા કાર્યકરનું મોત થયું છે. નીતિશ કુમાર જી, જનતા આનો જવાબ આપશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે બિહારમાં જંગલરાજ વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે દેખાવો કરી રહેલા ભાજપના કાર્યકરો અને જહાનાબાદ જિલ્લાના મહામંત્રી વિજય સિંહની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખવામાં આવી. નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવે બિહારમાં લોકશાહીને પોતાના બૂટ નીચે કચડી નાખી છે. નીતિશ સરકારના ઈશારે પટણામાં જે પોલીસ કાર્યવાહી અને બર્બરતા થઈ છે તે લોકશાહીમાં માફીને પાત્ર નથી.
બીજી તરફ આ મામલાને લઈને કેન્દ્રીય મંત્રી અને આરએલજેપીના વડા પશુપતિ કુમાર પારસે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. લોકશાહી વ્યવસ્થામાં આ તાનાશાહી ન હોવી જોઈએ. લોકોને શાંતિપૂર્વક પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. સરકારે તેમની વાત સાંભળવી જોઈતી હતી. હું બિહાર સરકારની નિંદા કરું છું. લાઠીચાર્જનો આદેશ આપનાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ.
બિહારમાં વિપક્ષના નેતા વિજય કુમાર સિન્હાએ આ ઘટના વિશે કહ્યું કે અમારી લડાઈ સડકથી ગૃહ સુધી ચાલુ રહેશે. તેજસ્વી યાદવનો જન્મ સોનાની ચમચી સાથે થયો છે. તેઓ લોકશાહી, બંધારણીય સંસ્થામાં માનતા નથી. એસએસપી પોસ્ટમોર્ટમ પહેલા જ રિપોર્ટ જાહેર કરી રહ્યા છે. તેની વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવશે.
Advertisement