મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં થયેલા બળવા પછી શિવસેના (UBT)નેતા ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. ઉદ્ધવ ઠાકરે જૂથના ઘણાં નેતાઓએ પક્ષ બદલી દીધો છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે. ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેની નજીકના રાહુલ કનાલે પણ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. 1 જુલાઈએ મુંબઈમાં શિંદે સરકાર વિરુદ્ધ ભવ્ય કૂચ યોજતા પહેલાં ઉદ્ધવ ઠાકરે માટે આ એક મોટો ફટકો કહી શકાય.
Advertisement
Advertisement
પાર્ટી છોડવાની જાહેરાત કર્યા બાદ રાહુલ કનાલે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે કેટલાંક લોકોના ઈશારે પક્ષ ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે કેટલાક લોકોની સલાહ પર નિર્ણય લે છે અને તેમને અન્ય લોકોને પાર્ટીમાં સામેલ કરવાની કોઈ ઈચ્છા નથી. તેમણે કહ્યું કે ગયા વર્ષે તેમને આવકવેરા વિભાગની નોટિસ મળી હતી, હવે આ મામલે મને ક્લીનચીટ મળી ગઈ છે. તેમણે કહ્યું કે શનિવારે (1 જુલાઈ) સાંજે 4 વાગ્યા પછી હું એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાઈશ અને પછી મીડિયા સાથે વાત કરીશ.
આદિત્યની નીકટના ગણાતા રાહુલ કનાલે તાજેતરમાં યુવા સેનાની કાર્યકારી સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે રાહુલ હવે શિંદે જૂથમાં સામેલ થાય તેવી શક્યતા છે. અગાઉ, એમએલસી મનીષા કાયંદે પણ ઉદ્ધવ જૂથ સાથેના સંબંધો તોડીને શિંદે જૂથમાં જોડાઈ ગઈ હતી.
કેવી રીતે શરૂ થઈ રાજકીય લડાઈ ?
2019ની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. શિવસેનાએ દાવો કર્યો કે ભાજપા મુખ્યમંત્રી પદની વહેંચણીના પોતાના વચનથી ફરી ગઈ છે. તે પછી ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સાથે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધનની રચના કરી, એકનાથ શિંદેએ આ ગઠબંધન સામે બળવો કર્યો અને સરકારને ઉથલાવી દીધી. ત્યાર બાદ શિંદેએ ભાજપ સાથે મળીને સરકાર બનાવી છે અને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ પણ હવે તેમના નામે થઈ ગયું છે.
Advertisement