દિલ્હી: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીતથી કોંગ્રેસ અને તેના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ છવાયો છે. કોંગ્રેસે હવે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ તે પહેલા સંગઠનમાં મોટા ફેરફારોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં કોંગ્રેસ ટૂંક સમયમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં નવા પ્રમુખોની જાહેરાત કરે તેવી શક્યતા છે. આ સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને પાર્ટી મોટી જવાબદારી સોંપે તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
કોંગ્રેસ ટૂંક સમયમાં ઓડિશા, હરિયાણા અને બિહારમાં નવા પ્રભારીઓની નિમણૂક કરશે. તે સાથે જ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પ્રભારી બદલવામાં આવશે. હકીકતમાં, આ બંને રાજ્યોના વર્તમાન પ્રભારી દિનેશ રાવ અને એચકે પાટીલને તાજેતરમાં કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં પણ મોટા ફેરફારની તૈયારી
સૌથી રસપ્રદ વાત એ છે કે ટૂંક સમયમાં રાજસ્થાનમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષના નામ પર મંજૂરીની મહોર લાગે તેવી શક્યતા છે. કારણ કે રાજ્યમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના મતભેદો જાહેરમાં સામે આવ્યા છે. આ ઉપરાંત યુવા ચહેરાઓને તક આપવા માટે ટૂંક સમયમાં નવી કોંગ્રેસ વર્કિંગ કમિટીની ચૂંટણી કરવામાં આવશે. રાયપુર અધિવેશનમાં આ અંગેનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. સંગઠનાત્મક ફેરફારની પ્રક્રિયા આગામી એકથી ત્રણ સપ્તાહમાં પૂર્ણ કરવામાં આવશે. આ હોદ્દાઓ માટેના ઉમેદવારોના નામ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસે પહોંચી ગયા છે.
પ્રિયંકા ગાંધીને મહત્વની ભૂમિકા મળશે
પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર અભિયાનનું નેતૃત્વ સંભાળ્યુ હતું, કોંગ્રેસે બંને રાજ્યોમાં જીત મેળવી છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી ટૂંક સમયમાં જ કોઈ મોટી ભૂમિકામાં જોવા મળી શકે છે. અગાઉ તેમને યુપીના પ્રભારી બનાવવામાં આવ્યા હતા, પરંતુ યુપી વિધાનસભા ચૂંટણીમાં કંઈ ખાસ કરી શક્યા ન હતા. તેના પછી પ્રિયંકાને હિમાચલ અને કર્ણાટકની જવાબદારી સોંપવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશની જવાબદારી છોડી શકે છે, જેથી તેઓ અન્ય રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
Advertisement