મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી શાનદાર જીત બાદ હવે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં પણ પક્ષપલટાનું રાજકારણ શરૂ થઈ ગયું છે. દરમિયાન, ભાજપને એક મોટો ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના અને શિવપુરીના ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ રાકેશ ગુપ્તાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
Advertisement
Advertisement
સન્માન ન આપવાનો ભાજપ પર આરોપ
ભાજપના પૂર્વ નેતા રાકેશ ગુપ્તાને સિંધિયાના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. ભાજપ છોડતી વખતે તેમણે કહ્યું કે હું સિંધિયા સાથે ભાજપમાં જોડાયો હતો, તે સાચું છે પરંતુ અમને ત્યાં કોઈ સન્માન મળ્યું નથી. સિંધિયા તરફી રહેલા કેટલાંક ધારાસભ્યો અને મંત્રીઓને જ ફાયદો થયો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતાઓને કંઈ મળ્યું નથી. તેમના સન્માનને પણ ઠેસ પહોંચી છે. જણાવી દઈએ કે રાકેશ ગુપ્તા હાલમાં શિવપુરી જિલ્લામાંથી ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ હતા.
આજે કોંગ્રેસમાં જોડાશે
ભાજપમાંથી રાજીનામું આપનારા રાકેશ ગુપ્તા કોંગ્રેસમાં શિવપુરીના જિલ્લા અધ્યક્ષ હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ 2020માં પાર્ટી છોડ્યા બાદ તેઓ પણ ભાજપમાં જોડાયા હતા. પરંતુ પૂરતું માન સન્માન ન મળવાને કારણે તેમણે ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. તેઓ આજે ફરી કોંગ્રેસમાં જોડાશે. તેઓ 200 વાહનો અને લગભગ એક હજાર સમર્થકો સાથે ભોપાલ PCC પહોંચવા માટે રવાના થયા છે. તેઓ કમલનાથની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે.
આ વર્ષના અંતમાં ચૂંટણી
મધ્યપ્રદેશમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ભવ્ય જીત મેળવી હતી. કમલનાથને રાજ્યના સીએમ બનાવવામાં આવ્યા. પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કર્યો, જેના કારણે કમલનાથની સરકાર સત્તા પરથી ઉથલી ગઈ. ત્યારબાદ તેઓ માર્ચ 2020માં તેમના કેટલાંક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા. હવે કોંગ્રેસ રાજ્યમાં આ વખતે ફરી સત્તા પર પરત ફરવાની આશા સેવી રહી છે. ભ્રષ્ટાચાર, કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરી રહી છે.
Advertisement