મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહની સરકારને મોટો ઝટકો લાગ્યો છે. એનડીએના સહયોગી કુકી પીપલ્સ એલાયન્સે સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે. પાર્ટીએ મોડી રાત્રે આ નિર્ણયની જાહેરાત કરી છે. મણિપુરમાં ગત મે મહિનાથી હિંસા ચાલી રહી છે. કુકી પીપલ્સ એલાયન્સે આ નિર્ણય રાજ્યમાં ચાલી રહેલી હિંસા અને ત્રણ મહિના પછી પણ સ્થિતિ સામાન્ય ન થઈ હોવાના કારણે લીધો છે. રાજ્ય સરકારમાં કુકી પીપલ્સ એલાયન્સના બે ધારાસભ્યો હતા. પક્ષના જે બે ધારાસભ્યોએ બિરેન સરકારને આપેલું સમર્થન પાછું ખેંચ્યું છે તેમાં કિમનેઓ હેંગશિંગ (સૈકુલ) અને ચિનલુન્થાંગ (સિંગત)નો સમાવેશ થાય છે.
Advertisement
Advertisement
વિધાનસભા સત્રમાં હાજરી આપવાનો ઈનકાર
મણિપુરમાં વિધાનસભા સત્ર 21 ઓગસ્ટથી શરૂ થવાની સંભાવના છે, આવી સ્થિતિમાં કુકી પીપલ્સ એલાયન્સે સમર્થન પાછું ખેંચી લેતાં બિરેન સરકારને મોટો ફટકો પડ્યો છે. મણિપુર કેબિનેટે રાજ્યપાલ અનુસુયા ઉઇકેને 21 ઓગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવાની ભલામણ કરી છે, જોકે મોટાભાગના કુકી ધારાસભ્યો સત્રમાં હાજરી આપે તેવી શક્યતા નથી. આ પહેલા, કુકી પીપલ્સ એલાયન્સના પ્રમુખ ટોંગમેંગ હાઓકિપે કહ્યું હતું કે રાજ્યમાં ચાલી રહેલી હિંસા અને વહીવટ અંગે કુકી સમુદાયની માંગણીઓનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે અમારી પાર્ટીના ધારાસભ્યો વિધાનસભા સત્રમાં ભાગ લેશે નહીં.
લૂંટાયેલા હથિયારોની રિકવરી માટે સર્ચ ઓપરેશન
મણિપુર પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે પોલીસ પાસેથી લૂંટાયેલા હથિયારો અને દારૂગોળો પરત મેળવવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સર્ચ ઓપરેશન હેઠળ સુરક્ષા દળો પહાડી અને ખીણ વિસ્તારોમાં સતત દરોડા પાડી રહ્યા છે. આ દરોડામાં ખીણ જિલ્લામાંથી 1057 શસ્ત્રો અને 14201 દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે પહાડી જિલ્લામાંથી 138 શસ્ત્રો અને 121 દારૂગોળો જપ્ત કરાયો છે. ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો પહેલા આતંકવાદીઓએ અનેક પોલીસ ચોકીઓ પર હુમલો કર્યો હતો અને મોટી માત્રામાં હથિયારો લૂંટીને લઈ ગયાં હતા.
મણિપુર હિંસામાં અત્યાર સુધી 160થી વધુ લોકોના મોત
મણિપુરમાં 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા કાઢવામાં આવેલી ‘આદિવાસી એકતા માર્ચ’ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. દરમિયાન, કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારથી સ્થિતિ તંગ બની છે. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુરની લગભગ 53% વસ્તી મૈતેઈ છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે 40% આદિવાસીઓ છે, જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે અને તે મોટાભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.
Advertisement