દિલ્હીઃ લોકસભામાં વિપક્ષ દ્વારા મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ગઈકાલે ચર્ચાનો બીજો દિવસ હતો. અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આક્રમક વલણ અપનાવતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તે પછી સત્તાધારી પક્ષમાંથી સ્મૃતિ ઈરાની બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગેવાની લીધી હતી. તેમણે કહ્યું કે યુપીએનું ચરિત્ર પોતાની સરકાર બચાવવા માટે ભ્રષ્ટાચાર કરવાનું છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ દેશમાં વિપક્ષનું અસલી ચરિત્ર દર્શાવશે. શાહે કહ્યું કે વિપક્ષનો આ અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર ભ્રમ પેદા કરવા માટે લાવવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે આઝાદી પછી પીએમ મોદીની સરકાર જ એવી છે જેણે મોટાભાગના લોકોનો વિશ્વાસ જીત્યો છે. પીએમ મોદી જનતામાં સૌથી લોકપ્રિય નેતા છે, પીએમ મોદી દેશના લોકો માટે અથાક પ્રયાસ કરે છે. તેઓ એક પણ રજા લીધા વગર 17 કલાક સતત કામ કરે છે. લોકો તેમના પર વિશ્વાસ કરે છે.
આ ઉપરાંત અમિત શાહે કહ્યું કે અમે ખેડૂતોને જે આપ્યું છે તે મફત નથી, પરંતુ અમે તેમને આત્મનિર્ભર બનાવ્યા છે. યુપીએના લોકો કહેતા રહે છે કે તેઓ ખેડૂતોની લોન માફ કરી દેશે. અમે માત્ર લોન માફ કરવામાં માનતા નથી, પરંતુ એવી સિસ્ટમ બનાવવામાં માનીએ છીએ કે જ્યાં કોઈએ લોન લેવી જ ન પડે. મોદી સરકારે કેટલાંક ઐતિહાસિક નિર્ણયો લીધા અને વંશવાદ અને ભ્રષ્ટાચારનો અંત લાવ્યા. યુપીએનું ચરિત્ર સત્તાનું રક્ષણ કરવાનું છે. પરંતુ એનડીએ સિદ્ધાંતોના રક્ષણ માટે લડે છે. સમજવું પડશે કે યુપીએ શા માટે જન ધન યોજનાનો વિરોધ કરી રહી હતી ? ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું કે જ્યારે કેન્દ્ર તરફથી એક રૂપિયો મોકલવામાં આવે છે, ત્યારે માત્ર 15 પૈસા જ લાભાર્થી સુધી પહોંચે છે. પરંતુ આજે આખી રકમ ગરીબો સુધી પહોંચે છે.
અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર પ્રહારો કરતાં કહ્યું કે આ ગૃહમાં એવા નેતા છે જેમને 13 વખત લોન્ચ કરાયા અને 13 વખત નિષ્ફળ રહ્યા. જ્યારે તેઓ બુંદેલખંડની એક મહિલા કલાવતીને મળવા ગયા ત્યારે મેં પણ તેમનું એક લૉન્ચ જોયું. પરંતુ, તેમણે કલાવતી માટે શું કર્યું ? કલાવતીને ઘર, વીજળી, ગેસ વગેરે આપવાનું કામ નરેન્દ્ર મોદીની સરકારે કર્યું છે.
લોકસભામાં સરકારની સિદ્ધિઓ ગણાવતાં અમિત શાહે કહ્યું કે મોદી સરકારે કાશ્મીરને આતંકવાદથી સંપૂર્ણપણે મુક્ત બનાવવા માટે સતત કામ કર્યું છે. અમે હુર્રિયત, જમિયત અને પાકિસ્તાન સાથે નહીં પરંતુ કાશ્મીર ઘાટીના યુવાનો સાથે વાત કરીશું. અમે દેશમાં પીએફઆઈ પર પ્રતિબંધ મૂક્યો અને દેશમાં 90 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા. લંડન, ઓટાવા અને સાન ફ્રાન્સિસ્કોમાં અમારા દૂતાવાસો પર થયેલા હુમલા સંબંધિત કેસ એનઆઈએને સોંપી દેવામાં આવ્યા. 26/11 તહવ્વુર હુસૈન રાણાને પણ ટૂંક સમયમાં ભારતમાં ન્યાયતંત્રનો સામનો કરવો પડશે.
મણિપુરમાં હિંસા પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હું પહેલા દિવસથી મણિપુર મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર હતો પરંતુ વિપક્ષ ક્યારેય ચર્ચા કરવા માંગતો ન હતો. તમે મને ચૂપ નહીં કરાવી શકો કારણ કે 130 કરોડ લોકોએ અમને ચૂંટ્યા છે તેથી તેમણે અમારી વાત સાંભળવી પડશે. મણિપુરમાં અમારી સરકારના છેલ્લાં છ વર્ષમાં ક્યારેય કર્ફ્યુની જરૂર પડી ન હતી. હું સંમત છું કે મણિપુરમાં હિંસાની ઘટનાઓ બની છે. આવી ઘટનાઓને કોઈ સમર્થન આપી શકે નહીં. આ ઘટનાઓ પર રાજકારણ કરવું શરમજનક છે.
Advertisement