કેન્દ્રની મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર ભાજપના નેતાઓ સતત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે અને સરકારની સિદ્ધિઓ ગણાવી રહ્યા છે. દરમિયાન પંજાબ પહોંચેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, શાહે કહ્યું કે મુખ્ય પ્રધાન ભગવંત માન પોતાનો બધો સમય અરવિંદ કેજરીવાલ સાથે દેશભરમાં પ્રવાસ કરવામાં વીતાવે છે, તેથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. સાથે જ તેમણે કટાક્ષ કરતા કહ્યું કે મને ક્યારેક ક્યારેક આશ્ચર્ય થાય છે કે ભગવંત માન મુખ્યમંત્રી છે કે પાયલોટ.
Advertisement
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર પંજાબના ગુરદાસપુરમાં આયોજિત કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે પંજાબ એક એવું રાજ્ય છે, જ્યાં ત્રિરંગાના ત્રણેય રંગ જોવા મળે છે. ભગવો રંગ શહીદોના બલિદાનના અર્થમાં જોવા મળે છે, ગુરુઓના શાંતિ અને સૌહાર્દના સંદેશમાં સફેદ રંગ જોવા મળે છે અને અન્નદાતા ખેડૂતો જ્યારે દેશના ગોડાઉનો ભરી દે છે ત્યારે આપણને લીલો રંગ પણ જોવા મળે છે.
આ ઉપરાંત અમિત શાહે મોદી સરકારની સિદ્ધિઓ ગણાવતા કહ્યું કે એક રીતે આ 9 વર્ષ દેશના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાનારા 9 વર્ષ છે. આજે વિશ્વમાં ભારતની ઓળખ દુનિયાના વિકાસના એન્જિન તરીકે થાય છે, પીએમ મોદીએ 9 વર્ષમાં ગરીબ કલ્યાણ દ્વારા 60 કરોડ ગરીબોને નવું આશાસ્પદ જીવન આપવાનું કામ કર્યું છે.
પંજાબમાં AAP સરકાર પર નિશાન સાધતા અમિત શાહે વધુમાં કહ્યું કે મેં આમ આદમી પાર્ટી જેવી પોકળ વચનો આપતી સરકાર મારા આખા જીવનમાં ક્યારેય જોઈ નથી, અહીં (પંજાબ) મુખ્યમંત્રી ભગવંત માન માત્ર અરવિંદ કેજરીવાલને દેશનો પ્રવાસ કરાવતા રહે છે. મુખ્યપ્રધાનનો આખો સમય કેજરીવાલના પ્રવાસમાં પસાર થાય છે, જેના કારણે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, પરંતુ મુખ્યપ્રધાન પાસે પંજાબ માટે સમય નથી.
Advertisement