લોકસભા ચૂંટણી પહેલા કેટલાંક વિરોધ પક્ષો સાથે જોડાયેલા લોકો મોદીને ટક્કર આપવા માટે એકજૂથ થઈ રહ્યાં છે. થોડાં દિવસો પહેલા બિહારમાં પણ એક બેઠક યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીએ પણ ભાગ લીધો હતો. પરંતુ હવે AAPએ ભાજપને સમર્થન આપ્યું છે, જેના કારણે વિપક્ષને મોટો ફટકો પડી શકે છે. AAPએ યુનિફોર્મ સિવિલ કોડ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને તેનું સમર્થન કર્યું છે. પરંતુ પક્ષનું કહેવું છે કે સમાન નાગરિક સંહિતા સૌની સહમતિથી લાગુ કરવી જોઈએ અને આ મુદ્દા પર તમામ પક્ષો સાથે ચર્ચા કરવી જોઈએ.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે કહ્યું કે અમે સૈદ્ધાંતિક રીતે સમાન નાગરિક સંહિતાનું સમર્થન કરીએ છીએ, કારણ કે કલમ 44 પણ કહે છે કે દેશમાં એક સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ. તેના માટે તમામ ધર્મો, રાજકીય પક્ષો અને સંગઠનો સાથે વ્યાપક ચર્ચા વિચારણા કરીને સર્વસંમતિ સધાવી જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ત્યાર બાદ વિપક્ષી પાર્ટીએ પીએમ મોદી પર ચૂંટણી પહેલા હિન્દુ-મુસ્લિમનો મુદ્દો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં પીએમ મોદીના નિવેદન બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે બેઠક પણ બોલાવી હતી.
વિપક્ષનો આરોપ છે કે મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના નિવેદન બાદ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આકરા પ્રહારો કર્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ પર ટિપ્પણી કરતી વખતે, ડીએમકેએ કહ્યું કે તેનો હિંદુ ધર્મમાં અમલ થવો જોઈએ જેથી એસસી/એસટીને મંદિરોમાં પ્રવેશ મળી શકે. યુનિફોર્મ સિવિલ કોડ પર પીએમ મોદીના નિવેદન બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ઉગ્ર વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, યુએસ પ્રવાસથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેરા બૂથ સબસે મજબૂત’ અભિયાન હેઠળ મંગળવારે મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે હાલમાં યુનિફોર્મ સિવિલ કોડના નામે લોકોને ભડકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે?
Advertisement