દિલ્હી: યમુના નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હજુ પણ ઘણી જગ્યાએ ભારે જળબંબાકારની સ્થિતિ છે. આજે સવારે યમુના નદીનું જળસ્તર 207.53 મીટર નોંધાયું હતું, પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે પરંતુ રાજધાનીમાં પૂરના કારણે રાજકારણ તેજ બની રહ્યું છે. સત્તાધારી આમ આદમી પાર્ટીના નેતાઓએ હરિયાણા સરકાર પર ષડયંત્ર હેઠળ દિલ્હીને ડૂબાડવાનો આરોપ લગાવ્યો છે.
Advertisement
Advertisement
સૌરભ ભારદ્વાજે ગંભીર આક્ષેપ કર્યો
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે આજે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે છેલ્લાં છ દિવસથી વરસાદ નથી તો દિલ્હીમાં પૂર કેમ છે ? દિલ્હીમાં પૂરની સ્થિતિ ચાલુ રહે તેમ ભાજપ શાસિત કેન્દ્ર સરકાર અને હરિયાણા સરકાર સુનિશ્ચિત કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. પાણીનું સ્તર 1978ના પૂર કરતાં એક મીટર વધુ છે. તેનું કારણ એ છે કે હરિયાણા હથિની કુંડમાંથી તમામ પાણી દિલ્હી તરફ મોકલે છે.
તેમણે વધુમાં કહ્યું કે હથિનીકુંડ બેરેજમાંથી ત્રણ કેનાલ નીકળે છે, પરંતુ ષડયંત્ર હેઠળ 9-13 જુલાઈ સુધી પશ્ચિમ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું ન હતું. ભાજપના લોકો ખોટો તર્ક આપી રહ્યા છે. પરંતુ ગયા વર્ષે ઓગસ્ટમાં આ વખતે ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ દિલ્હીમાં પૂરની સ્થિતિ સર્જાઈ ન હતી. ભાજપના ઓછાં ભણેલા લોકો કહી રહ્યા છે કે રેગ્યુલેટરનું કામ માત્ર પાણી વિતરણ કરવાનું છે તો પછી રેગ્યુલેટર કેમ હોય છે ? તેનું કામ છે, પાણીનું નિયમન કરવાનું. હથિનીકુંડની લોક બુકમાં સ્પષ્ટ છે કે જ્યારે દિલ્હી તરફ પાણી છોડવામાં આવ્યું ત્યારે પૂર્વ-પશ્ચિમ કેનાલ ખાલી રાખવામાં આવી હતી.
હરિયાણા સરકારે આનો જવાબ આપવો પડશે – આતિશી
તે જ સમયે, દિલ્હી સરકારના અન્ય મંત્રી આતિશીએ પણ હરિયાણા સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આગામી 12 કલાકમાં દિલ્હીના લોકોને રાહત મળશે. આ એક બહુ મોટો પ્રશ્ન છે કે બધું પાણી માત્ર દિલ્હી માટે જ કેમ છોડવામાં આવી રહ્યું હતુ. હથિનીકુંડ બેરેજમાંથી જે પાણી યુપી અને હરિયાણા તરફ જાય છે તેના માટે એક પણ ટીપું પાણી છોડવામાં આવ્યું નથી. હરિયાણાએ આનો જવાબ આપવો પડશે.
હરિયાણાના કૃષિ મંત્રીનો વળતો પ્રહાર
AAP નેતાઓના આરોપ પર વળતો પ્રહાર કરતા હરિયાણાના કૃષિ મંત્રી જયપ્રકાશ દલાલે કહ્યું કે અમારી પાસે કોઈ ડેમ નથી તેથી જે પાણી આવે છે તે દિલ્હી, આગ્રા, અલ્હાબાદ થઈને આખરે દરિયામાં જાય છે. કોણ તેને વાળી શકે ? હવે આ (આપ) લોકો કહી રહ્યા છે કે પાણી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ તરફ મોકલવામાં આવ્યું નથી. આમ આદમી પાર્ટી પોતાની ફરજોમાંથી છટકી જવાનો પ્રયાસ કરે છે. દિલ્હીને ડૂબવામાં જેટલો ફાળો ગેરકાયદેસર વ્યવસાયોનો છે તેટલો અન્ય કોઈનો નથી.
Advertisement