વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન I.N.D.I.A.મણિપુર હિંસા મામલે મોદી સરકારને સડકથી સંસદ સુધી ઘેરવાની રણનીતિ બનાવી રહ્યું છે. ગઠબંધનના 21 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ શનિવારે મણિપુરની બે દિવસની મુલાકાત માટે ઇમ્ફાલ જવા રવાના થયું છે. આ પ્રતિનિધિમંડળ વંશીય હિંસાગ્રસ્ત રાજ્યની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરશે.
Advertisement
Advertisement
આ પ્રતિનિધિમંડળમાં 21 નેતાઓ છે અને તેમનું નેતૃત્વ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ કરી રહ્યા છે. અહીં વિપક્ષી દળના નેતા મણિપુર હિંસા પીડિતોને મળશે અને રાજ્યની સ્થિતિની સમીક્ષા પણ કરશે. આ દરમિયાન ગૌરવ ગોગોઈએ કહ્યું કે વડાપ્રધાન ભલે મણિપુરને ભૂલી ગયા હોય પરંતુ અમે ભૂલ્યા નથી, તેથી અમે પીડિતોની વચ્ચે જઈ રહ્યા છીએ. તેમણે ઉમેર્યું કે હિંસા પ્રભાવિત સ્થળોએ જવું અમારા માટે મુશ્કેલ છે. પરંતુ, અમે રાહત શિબિરોમાં જઈને રાજ્યમાં ચાલી રહેલી હિંસાથી પ્રભાવિત લોકોને મળીશું. તેમણે કહ્યું કે અમે હિંસાથી પ્રભાવિત લોકોની સ્થિતિની સમીક્ષા કરીશું. સરકાર તે લોકો માટે શું કરી રહી છે અને આ ઉપરાંત અત્યાર સુધી સરકારે તેમના માટે શું કર્યું છે તે પણ જોઈશું. ગોગોઈએ કહ્યું કે અમે મણિપુરના લોકોની વાત સંસદમાં રજૂ કરી શકીએ એટલા માટે અમે ત્યાં જઈ રહ્યા છીએ.
આ પહેલા શુક્રવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભાના વ્હીપ નસીર હુસૈને કહ્યું હતું કે 16 પક્ષોના સાંસદો હિંસા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને લોકોની સ્થિતિ વિશે માહિતી મેળવશે. તેઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે રાહત શિબિરોની પણ મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળ રવિવારે સવારે મણિપુરના રાજ્યપાલ અનુસુઈયા ઉઇકે સાથે પણ મુલાકાત કરશે.
AAP સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર નથી અને PM સંસદમાં આવતા નથી. તેથી અમે વાસ્તવિક સ્થિતિ જોવા માટે મણિપુરની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. જ્યારે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે અમે ત્યાં રાજકીય મુદ્દા ઉઠાવવા નહીં પરંતુ મણિપુરના લોકોનું દર્દ સમજવા માટે જઈ રહ્યા છીએ. અમે સરકારને અપીલ કરીએ છીએ કે મણિપુરમાં જે સંવેદનશીલ પરિસ્થિતિ ઉભી થઈ છે તેનો ઉકેલ શોધે, સરકારે તેની જવાબદારી નિભાવી નથી. અમે મણિપુરમાં વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જઈ રહ્યા છીએ.
પ્રતિનિધિમંડળમાં સામેલ સભ્યો
ગોગોઈ ઉપરાંત, પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, ટીએમસીના સુષ્મિતા દેબ, જેએમએમના મહુઆ માંઝી, ડીએમકેના કનિમોઝી, ડી રવિકુમાર, એનસીપીના નેતા મોહમ્મદ ફૈઝલ, આરએલડીના જયંત ચૌધરી, આરજેડીના મનોજ કુમાર ઝા, કે.કે. સુરેશ, આરએસપીના એન કે પ્રેમચંદ્રન અને વીસીના કેટી થિરુમાવલવન, જેડીયુના રાજીવ રંજન (લાલન) સિંહ, અનિલ પ્રસાદ હેગડે, સીપીઆઈ(એમ)ના સંદોશ કુમાર, એએ રહીમ, સપાના જાવેદ અલી ખાન, આઈયુએમએલના મોહમ્મદ બશીર, એએપીના સુશીલ, ઉદ્ધવ જૂથના અરવિંદ સાવંત અને કોંગ્રેસના ફૂલો દેવી નેતામનો સમાવેશ થાય છે.
Advertisement