કચ્છની ધરતીનું ભરતકામ એમ્બ્રોઈડરીનું ઓપન એક્ઝિબિશન છે‘કચ્છના રણમાં જત, રબારી, આહિર અને મેઘવાળ સમુદાયોનું ભરતકામ વિશ્વવિખ્યાત છે. અહીંની મહિલાઓમાં ભરતકામ એટલે કામ પત્યા પછી એક સર્જાનાત્મક અવસ્થા છે. શાંત ચિત્તે સતત બારીકાઈથી કામ કરતી કચ્છી મહિલાઓના મનમાં આખા વિશ્વના ભરતકામનો શ્રેષ્ઠ વારસો પડ્યો છે.’ આ શબ્દો છે કચ્છી ભરત પર સંશોધન કરીને પી.એચ.ડી કરનારા નિફ્ટ ગાંધીનગરના ડૉ.કૃતિ ધોળકિયા લાખિયાના. ડૉ.કૃતિ ધોળકિયાએ આ માટે ક્ચ્છના ગામડાંઓમાં જઈને સતત આઠ વર્ષ સુધી વિવિધ પ્રકારની ભરતશૈલીનો અભ્યાસ કર્યો છે. જેમાં રબારી, જત, આહિર, મેઘવાળ, પઠાણ, સિંધી, મેમણ, દરબાર, મુતવા, હાલેપોત્રા, રાઈસીપોત્રા, નોડે જેવા મુદાય અને ઉપસમુદાયના સુંદર ભરતકામનો સમાવેશ થાય છે.
Advertisement
Advertisement
કૃતિ ધોળકિયા લાખિયા વધુમાં જણાવે છે કે ‘કચ્છના ભરતકામમાં આરી વર્કની વિશેષતા પ્રાચીન છે. જો કે હાલમાં ભરતકામમાં અનેક પ્રકારના બદલાવ જોઈ શકાય છે. જેમ કે લખપત તરફ જઈએ તો ત્યા આજે નાયલોનના દોરાનો ઉપયોગ વધી ગયો છે. જેના કારણે ભરતમાં તમને વિશેષ ચમક દેખાય છે. અહીં એક બાળક જન્મે છે તે પછી તેના જીવનના દરેક પ્રસંગોને ભરતકામ સાથે સાંકળવામાં આવે છે. દીકરી જ્યારે સાસરે જાય ત્યારે તેની સાથે દાયજામાં ભરતકામની વસ્તુઓ લઈને જાય છે. ડૉ.અમિતા પંડ્યાના માર્ગદર્શન હેઠળ ‘પ્રિવેઈલિંગ સ્ટેટ્સ ઑફ કચ્છ એમ્બ્રૉઈડરી એન્ડ આર્ટિઝન સ્કોપ ઑફ ઇટ્સ સસ્ટેનેબિલિટી એન્ડ પ્રમોશન’ મારો આ વિષય હતો. સરહદી વિસ્તારના ગામડાંઓ પાકો, સૂફ, ખારેક, નેરણ, ખૂડી ટેભા, કંભીરા, છીદર, કતરી, મુક્કો, આહિર ભરત, રબારી ભરત, બાવળીયો, હોરમજી અને ગોતાઉ જેવી શૈલીઓનો સમાવેશ થાય છે. જ્યારે આ કામ મેં હાથમાં લીધું ત્યારે હું એકલી જ જતી. રણ વિસ્તારમાં બૉર્ડર પાસેના ગામોમાં લોકોને સિંધી અને કચ્છી સિવાય અન્ય કોઈ ભાષા પણ ના આવડે અધૂરામાં પૂરું કેટલાંક ગામોમાં તો આખા દિવસની એક જ બસ હોય. એટલે આયોજન સાથે નીકળવાનું થતું. આખું કામ પૂરું કર્યા પછી એક વાતનો એ સંતોષ છે કે ભારતીય પરંપરાને જીવંત રાખવા માટે મેં યોગ્ય દિશામાં કામ કર્યું છે. ’
કૃતિ વધુ વાત કરતાં જણાવે છે કે રણકાંઢાનું ભરત કામ અને સમાજજીવન એકદમ અલગ છે. અહીં મહિલાઓ પોતાનું આખું જીવન આંગણાંમાં જ વ્યતિત કરે છે. પરંતુ એમ્બ્રોઈડરી એક એવી વસ્તુ છે જે તેને હંમેશા શાંત અને સંતુલિત રાખે છે. આખું કચ્છ એક ઓપન એબ્રોઈડરીના એક્ઝિબિશન જેવું છે. આ તમામ ભરતની વિવિધ શૈલી એ વાત દર્શાવે છે કે સદીયો પહેલાં આવેલા વિવિધ સમુદાયોએ પોતાની શૈલી વિક્સાવી છે અને એ પછી આજે આ શૈલીઓ પણ એકમેકમાં ઈન્ટરવોવન થઈ રહી છે. એવું મનાય છે કે ભરતકામ એ પ્રાચીન માનવની એક આગવી કલા છે અને તેનું અસ્તિત્ત્વ પાંચેક હજાર વર્ષથી એક પછી એક એમ સ્તર પ્રમાણે વિક્સિત થયું હશે.
Advertisement