વિશાલ મિસ્ત્રી રાજપીપલા: ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈને હાલ ભાજપ દ્વારા રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારમા સેન્સની પ્રક્રિયા હાથ ધરાવામા આવી રહી છે. નર્મદા જિલ્લાની 148 નાંદોદ અને 149 ડેડીયાપાડા વિધાનસભા માટે થોડા દિવસો પેહલા જ રાજપીપલા અને દેડીયાપાડા ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં નાંદોદ માટે 31 અને દેડીયાપાડા માટે 12 લોકોએ દાવેદારી નોંધાવતા કોની પસંદગી કરવી એ ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.148 નાંદોદ વિધાનસભા માટે પૂર્વ ધારાસભ્ય શબ્દશરણભાઈ તડવી અને હર્ષદભાઈ વસાવા પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
Advertisement
Advertisement
2012 ની વિધાનસભા ચુંટણીમાં શબ્દશરણભાઈ તડવીને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા અને તડવી સમાજે એમને ખોબે ખોબા ભરીને મત આપ્યા હતા, જ્યારે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં એમણે હારનો સામનો કરવો પડ્યો હતો.જોકે ટીકીટ કોને આપવી એ તો પક્ષ નક્કી કરશે પરંતુ આ તમામની વચ્ચે છેલ્લા 10 વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવાને ટિકિટ મળશે કે કેમ એ પ્રશ્ન હાલ ચર્ચાઈ રહ્યો છે.
હર્ષદભાઈ વસાવા ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષ છે.ગુજરાત વિધાનસભામાં આદિવાસી પટ્ટાની 27 બેઠકો પર આદિવાસી ગૌરવ યાત્રાની સંપૂર્ણ જવાબદારી મોવડી મંડળે એમને સોંપી હતી.નિર્વિઘ્ન એ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ થઈ, યાત્રાની સફળતાએ હર્ષદભાઈ વસાવાનો વિધાનસભાની ટીકીટ મેળવવાનો માર્ગ મોકળો કરી દિધો છે.એટલે જ 2022 વિધાનસભા ચૂંટણી માટે નાંદોદની બેઠક પરથી ભાજપ હર્ષદભાઈ વસાવાને પોતાનો ઉમેદવાર બનાવે એવી 100% સંભાવનાઓ દેખાઈ રહી છે.બીજી બાજુ હર્ષદભાઈ વસાવાના સાળા અને નર્મદા જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ કિરણભાઈ વસાવાએ પણ દાવેદારી નોંધાવતા સમર્થકોની માંગ એવી છે કે આ વખતે હર્ષદભાઈ વસાવા અથવા કિરણભાઈ વસાવા માંથી કોઈ એકને પક્ષ ટીકીટ આપે.હવે જોવું રહ્યું કે મોવડીમંડળ સાળા બનેવી માંથી કોની પસંદગી કરે છે.હર્ષદભાઈ વસાવાએ 2002 વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર સામે જંગી બહુમતીથી વિજય મેળવ્યો હતો, 2007 ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ 600 મતની પાતળી સરસાઇથી ચૂંટણી જીત્યા હતા જો કે 2012 ની વિધાનસભા ચૂંટણીમા એમને પાર્ટીએ ટિકિટ આપી ન્હોતી.
10 વર્ષ દરમિયાન હર્ષદભાઈ વસાવાની કામગીરી પર એક નજર
2012 માં ભાજપે હર્ષદભાઈ વસાવાની ટિકિટ કાપતા એમનાં સમર્થકોમાં છૂપો રોષ તો હતો જ.જો કે સરકારે હર્ષદભાઈ વસાવાને રાષ્ટ્રીય આદિજાતિ આયોગના ડિરેક્ટર બનાવ્યા જે ધારાસભ્યના પદ કરતા ઘણું મોટું પદ કહેવાય.હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ છે.એટલે એમ કહી શકાય કે ગુજરાતના આદિવાસી પટ્ટાની 27 બેઠકો પર ઉમેદવારની પસંદગીમાં હર્ષદભાઈ વસાવાની મહત્વની ભૂમિકા હશે.
નાંદોદ વિધાનસભાનું કેવું છે રાજકીય સમીકરણ?
નાંદોદ વિધાનસભાના રાજકીય સમીકરણ પર એક નજર કરીએ તો તડવી સમાજ બાદ વસાવા સમાજના બહુમતી મતદારો છે.આમ આદમી પાર્ટી વસાવા સમાજના ઉમેદવારને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસ પાસે તડવી સમાજનો એવો કોઈ ચેહરો નથી કે જેને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે.જેથી કોંગ્રેસ પણ વસાવા સમાજમાંથી કોઈકને ઉમેદવાર બનાવશે.ત્યારે ભાજપ ક્યા સમાજને પ્રાધાન્ય આપે છે એ જોવું રહ્યું, જો ભાજપ પણ વસાવા સમાજના ઉમેદવારને ટિકીટ આપે તો એવા સમયે વસાવા સમાજના મતોનું વિભાજન થશે અને તડવી સમાજના મતો પર હાર જીત થવાની સંભાવનાઓ રહેલી છે.
નાંદોદ બેઠક માટે રાજપીપળા નજીકની ખોડીયાર હોટેલ ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા તડવી સમાજ અને વસાવા સમાજનાં આગેવાનો પોત પોતાના સમાજના વ્યક્તિને ટિકીટ મળે એવી રજૂઆત કરી હતી.તો બીજી બાજુ તડવી સમાજના અમુક આગેવાનોએ તો ત્યાં સુધી રજુઆત કરી હતી કે અમારા સમાજમાં વિવાદ વધારે છે એટલે તડવી સમાજમાં ટીકીટ ન આપો.હવે આ વિરોધ એમણે જાતે કર્યો કે કરાવવામાં આવ્યો એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.આ વિરોધ કરનાર આગેવાનો આડકતરી રીતે હર્ષદભાઇ વસાવાને સમર્થન કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.ત્યારે જો એમની આ રજુઆતને પક્ષ ધ્યાનમાં લે તો આ વખતે હર્ષદભાઈ વસાવા ભાજપના ઉમેદવાર બને એવી પુરે પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
Advertisement