નવરંગપુરાની સૌરભ સોસાયટીમાં રહેતા ૭૨ વર્ષીય મુકુંદભાઇ દેસાઇને નાનપણથી ગાર્ડનિંગનો શોખ છે. ૧૯૯૦થી ૨૦૦૪ દરમિયાન નવગુજરાત લૉ કોલેજ ખાતે પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી.
લૉ ફેકલ્ટીના ડીન રહી ચૂકેલા અને હાલ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા કાયદાના નિષ્ણાંત અને પર્યાવરણપ્રેમી મુકુંદ દેસાઇએ કહ્યું, મારા પિતા હાઇકોર્ટમાં જજ હતા. અમે ડિસ્ટ્રીક્ટ જજ તરીકના બંગલામાં રહેતા હતા. હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે બંગલામાં ગાર્ડન હતું અને મારું બાળપણ ત્યાં જ વિત્યું.
વર્ષ ૧૯૬૩માં અમદાવાદમાં જમીન રાખી અને ૧૯૬૭માં બંગલામાં રહેવા ગયા હતા ત્યારે મારી ઉંમર ૧૮ વર્ષની હતી. અહીં ગાર્ડન ન હોતું. ધીમે ધીમે છોડવા લાવવાનું શરૂ કર્યું હતું. છેલ્લા ૨૫ વર્ષમાં મેં ૧૭૦૦ જેટલા વિવિધ છોડ અને ૩૫ આયુર્વેદીક વનસ્પતિનો ઉછેર કર્યો છે.
Advertisement
Advertisement
પર્યાવરણ પ્રેમી મુકુંદભાઇ એ ઘરમાં ૧૭૦૦ જેટલા વિવિધ ફૂલ-છોડ , ૩૫ જેટલી ઔષધિય વનસ્પતિનો ઉછેર કર્યો
મારી પાસે મારો પોતાનું ગાર્ડન છે. આ ગાર્ડનમાં આંબો, કેળા, મોસંબી, ચીકું, દાડમ, લીંબુ તેમજ વિવિધ આર્યુવેદિક વનસ્પતિ જેવી કે નાગવેલ, અરડૂસી, કુવરપાઠા તેમજ અશ્વગંધા પણ છે. લીમડો, વડ, બોરસલી, બિલિપત્ર, રૃદ્રાક્ષ તેમજ ૨૧ વર્ષથી કૈલાસપતિનું વૃક્ષ છે. કૈલાસપતિના ફૂલો ૨૫ વર્ષે આવે છે. આ ફૂલોનો આકાર શિવલિંગ જેવો હોય છે. ફૂલોમાં ૨૦ જાતના ગુલાબ, ૧૦ જાતના જાસૂદ, ૩ જાતના મોગરો, જૂઇ, ગલગોટા, ચાંદની, ૪ જાતના ચંપા, બોનસાઇ પણ છે.
વર્ષો પહેલા નેધરલેન્ડથી એક છોડ લાવ્યો હતો પરંતું આ આપણી આબોહવાને કારણે સૂકાઇ ગયું હતું. સવારે ૬થી ૯ ગાર્ડનમાં જ વિતાવું છું. ગાર્ડનમાં વોટર ફાઉન્ટેન અને વોકીંગ એશ પણ છે. દરરોજ સાંજે ૫થી ૭ ગાર્ડનમાં વૉક કરું છું.
મને ગાર્ડન કુદરત સાથે એકાકારનો અનુભવ થાય છે
મને ડાયાબિટિસ છે. મારા ગાર્ડનને કારણે હું આનંદીત રહું છું. ગાર્ડનમાં સમય વિતાવવાથી દુઃખો ભૂલી જવાય છે. કુદરત સાથે એકાકાર થઇ જવાય છે. ગાર્ડનમાં સમય વિતાવ્યા બાદ હું મારી કલ્પનાઓની અલૌકિક દુનિયામાં હોઉં છું. ગાર્ડનને કારણે મારા આરોગ્ય સાથે સ્વભાવ પણ બદલાવામાં મદદરુપ થયું છે. ૧૦ વર્ષ પહેલા પત્નીની હયાતીમાં ગાર્ડનમાં સવાર-સાંજ વાતો કરતા હતા. ચા-નાસ્તો પણ ગાર્ડનમાં જ કરતા હતા. તેમણે બગીચામાં એક જગ્યાએ ૨૫ બાય ૨૫ની જગ્યામાં લીંપણ કરાવ્યું હતું. એ જગ્યાએ અમે શિયાળામાં તાપણું કરીને વાતો કરતા હતા.
લીંપણની ટાઢક અને બગીચાનું વાતાવરણ સાચવવા મેં આ ગાર્ડનની જાળવણી માટે એક માળી રાખ્યા છે. રજાને દિવસે હું ગાર્ડનિંગ કરું છું. ગાર્ડનમાં પાણી છંટકાવ તેમજ છોડવાઓને પાણી આપતા અઢી કલાક જેટલો સમય લાગે છે.
Advertisement