ગુજરાતમાં ખેતીની સાથે પશુપાલનનો ડેરી ઉદ્યોગ પણ ઝડપથી વધી રહ્યો છે. દૂધાળા પશુઓમાં ખાસ કરીને બેક્ટેરિયાથી મસ્ટાઇટીસ રોગ થતો હોય છે ત્યારે દૂધાળા પશુઓને એન્ટિબાયોટિક્સ થેરાપી આપવામાં આવે છે. દૂધાળા પશુઓને વધુ પડતા એન્ટિબાયોટિક્સનો ખર્ચ પણ વધારે છે અને આડેધડ ઉપયોગથી આડઅસર પણ ઘણી થાય છે ત્યારે એલ.એમ.કોલેજ ઓફ ફાર્મસીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ એન્ડ ક્વૉલિટી એસ્યોરન્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર મુકેશ ખેરે દૂધાળા પશુઓમાં થતા મસ્ટાઇટીસ રોગથી રક્ષણ મળે તે માટે વનસ્પતિમાંથી તૈયાર કરેલ હર્બલ ઝેલને પેટન્ટ મળી છે. આ વિશે મુકેશ ખેરે કહ્યું કે, હાલમાં દૂધાળા પશુઓને દોહવા માટે મિલ્કિંગ મશીન આવી ગયા છે.
Advertisement
Advertisement
દૂધાળુ પશુ બીમાર હોય અને મિલ્કીંગ મશીન યોગ્ય રીત સાફ કર્યા વિના તેનો ઉપયોગ કરવામાં આવે તો બીજા પશુઓમાં પણ મસ્ટાઇટીસ રોગ થવાની શક્યતા રહેલી છે. મસ્ટાઇટીસ રોગને લઇને ગુજરાતમાંથી શંકર, કાંકરેજ અને ગીર ગાય પર અભ્યાસ કર્યો હતો અને તેને લઇને એક વનસ્પતિમાંથી હર્બલ ઝેલ તૈયાર કરી હતી જે એન્ટિબાયોટિક્સ કરતાં ઓછો ખર્ચમાં તૈયાર થાય છે અને ઓછા સમયમાં ઝડપથી રોગ પર કાબૂ મેળવી શકાય છે સાથે પશુઓ પર કોઇ આડઅસર થતી નથી. આ સંશોધનને લઇને અમને ૨૦ વર્ષ માટે પેટન્ટ મળી છે. આ સંશોધન જીટીયુના પૂર્વ વાઇસ ચાન્સેલર નવીન શેઠ અને જીટીયુના સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેકનોેલોજીના પ્રોફેસર ડૉ.વૈભવ ભટ્ટના માર્ગદર્શન હેઠળ કર્યું છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી અમે કાંકરેજ, ગીર અને શંકર ગાય પર અભ્યાસ કર્યો હતો જેમાં અમને શંકર ગાયમાં ૬૦ ટકા સૌથી વધારે મસ્ટાઇટીસ રોગ જોવા મળે છે તેની સામે હ્યુમિનીટી સારી હોવાને લીધે કાંકરેજમાં ૩૦ અને ગીર જાતિમાં ૨૮ ટકા મસ્ટાઇટીસ રોગ જોવા મળે છે. એન્ટિબાયોટિક્સના આર્થિક નુકસાન કરતાં હર્બલ ઘણી સસ્તી છે અને તે ઝેલ સ્વરૂપે હોવાથી દૂધાળા પશુઓને કોઇ નુકસાન થતું નથી. મસ્ટાઇટીસ રોગ દૂધાળા પશુઓ માટે ગંભીર રોગ છે અને તેનું નિરાકરણ ઝડપથી થાય તે જરૂરી છે. ગ્રામ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને લીધે આ રોગ મુખ્ય ભાગ ભજવે છે. આ રોગને લીધે દર વર્ષે વિશ્વમાં ૨૦ હજાર કરોડ અને ભારતમાં ૭૫૦૦ કરોડનું નુકસાન થાય છે. એન્ટિબાયોટિક્સના આડેધડ ઉપયોગથી ડ્રગ્સ રેજિસ્ટન્સ ડેવલપ થાય છે અને તેને લીધે દૂધ પીવાથી નાના બાળકોને પણ હાડકાંના રોગ થવાની શક્યતા રહે છે.
Advertisement