ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુત્તમ માસિક વેતનમાં 24.6 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. વેતનમાં થનારા આ સુધારાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજ્યના બે કરોડથી વધુ લોકોને ફાયદો થશે.
Advertisement
Advertisement
46 વ્યવસાયના શ્રમિકોના વેતનમાં વધારો
શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે કલમ 44 હેઠળ 46 વ્યવસાયના લઘુતમ વેતનદારો, શ્રમિકો માટે કોર્પોરેશન વિસ્તારમાં, નગરપાલિકા, અને સ્થાનિક મંડળ વિસ્તારમાં વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તે પ્રમાણે તેમના માસિક વેતનની રકમમાં અંદાજે સરેરાશ 24.63 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે સરકારે પ્રથમ વખત શ્રમિકોના વેતનમાં અંદાજે 25 ટકા જેટલો માતબર વધારો કર્યો છે.
હવે શ્રમિકોનું લઘુત્તમ વેતન રૂ.11,752થી રૂ.12,324 રહેશે
કુશળ શ્રમિકો માટે કોર્પોરેશન વિસ્તાર, નગરપાલિકા, અને સ્થાનિક મંડળ વિસ્તારમાં કુશળ શ્રમિકો અને લઘુતમ વેતનદારોને અગાઉ માસિક વેતન રૂ.9, 887.80 મળતું હતું. તેમાં રૂ.2, 436.20 નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને લીધે હવે શ્રમિકોને માસિક વેતન રૂ.12, 324 આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સરકારે અર્ધકુશળ શ્રમિકોને માસિક રૂ.11,786 લઘુત્તમ વેતન આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત બિનકુશળ શ્રમિકોને માસિક રૂ.11,752 લઘુત્તમ વેતન મળશે.
વિવિધ માપદંડોને ધ્યાને લઈને વધારો કરાયો
શ્રમિકોનું લઘુત્તમ વેતન નક્કી કરવા માટે 15મી ઈન્ડિયન લેબર કોન્ફરન્સમાં વિવિધ માપદંડો જેમ કે કુટુંબના સભ્યોની સંખ્યા, માથાદીઠ આહાર, કાપડ, ઘરભાડું, બળતણ, લાઈટબીલ, બાળકોનું શિક્ષણ તથા તબીબી સારવાર નક્કી કરવામાં આવ્યા છે. શ્રમિકોના વેતનમાં સુધારો કરતી વખતે આ તમામ માપદંડોને ધ્યાને લેવાયા હતા.
Advertisement