અમદાવાદ શહેરનો ઐતિહાસિક વારસો, સ્થાપત્ય, પોળ અને કલ્ચરની ભવ્યતાને લઇને તેને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં રહેતા લોકોની એક આગવી ઓળખ, પરંપરાને લોકોએ આજે પણ જાળવી રાખી છે, જેમાં પણ શહેરનો કોટ વિસ્તારમાં આવેલ ખાડિયા વિસ્તાર તેની આગવી વિશેષતાને લઇને જાણીતો હતો અને તેને લીધે તેનો એક આગવો ઇતિહાસ રહ્યો છે. વર્ષો પહેલાં ખાડિયા વિસ્તારમાં સરદાર વલ્લભભાઇ પટેલ, ડૉ.કાનુગા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિસ્તારના ચાર રસ્તા સ્વાતંત્ર્ય સંગ્રામ અને અમદાવાદના વિકાસની ચર્ચા કરવામાં આવતી હતી જેને લીધે તેનું નામ ‘ખાડિયા સ્ટ્રીટ પાર્લામેન્ટ‘ આપવામાં આવ્યું હતું. આ વિશે ઇતિહાસકાર ડૉ. માણેક પટેલ ‘સેતુ‘એ કહ્યું કે, પ્રાચીનકાળમાં આ વિસ્તાર ખાડા-ટેકરાવાળો હતો અને તેને લીધે તેનું નામ ખાડિયા પડયું હતું. ૧૫૭૨માં બાદશાહ અકબરે અમદાવાદ જીત્યું ત્યારે આ વિસ્તારનું નામ ‘અકબરપુર‘ આપ્યું હતું અને ત્યાં વસાહત શરૂ કરી. સમય જતા આ વસાહતના ચોગાન ‘અકબરપુર ચકલો‘ જેને આજે આપણે ખાડિયા ચકલો કે ખાડિયા ગેટ તરીકે ઓળખીએ છીએ. આઝાદીની લડતમાં ખાડિયા વિસ્તારના લોકો અગ્રેસર રહ્યા હતા અને તેને લીધે ૧૯૪૨માં ખાડિયાનું નામ બ્રિટિશ પાર્લામેન્ટ સુધી ગૂંજી ઊઠયું હતું. ખાડિયા વિસ્તારના રહેવાસીઓમાં એક પ્રકારની નૈતિક અને રાજકીય ખુમારી જોવા મળે છે. કૃષ્ણવદન જોશી, ચારુમતીબહેન યોદ્ધા, નીરુબહેન દેસાઇ સહિતના રહેવાસીઓ પોતપોતાના ક્ષેત્રમાં અગ્રેસર, સ્વપ્નદ્રષ્ટા અને કર્મયોગી હતા અને તેઓ બધા ભેગા થઇને ૧૯૭૯માં ‘ખાડિયા ઇતિહાસ સમિતિ‘ બનાવી હતી. ખાડિયા વિસ્તારમાં રહેતા લોકોમાં રહેલી ખુમારી તેમની આગવી ઓળખ બની છે. ખાડિયા વિસ્તારમાં લોકો આજે પણ જાહેર રસ્તાઓ પર ચર્ચા કરવાને લીધે પણ જાણીતા છે અને તેને લીધે ખાડિયા સ્ટ્રીટ પાર્લામેન્ટ ટોકિંગ પોઇન્ટની જેમ ચર્ચાઓ કરતા નજરે જોવા મળતા હોય છે. ખાડિયા ઇતિહાસ સમિતિએ ખાસ રસ લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ વૉકની શરૂઆત કરવામાં આવી હતી જે આજે પણ ચાલી રહી છે. હેરિટેજ વૉકને લીધે લોકોને રોજગારી મળી રહી છે સાથે વિશ્વના લોકો સુધી શહેરના સ્મારકોની ભવ્યતાને પહોંચાડી શક્યા છીએ.
Advertisement
Advertisement
Advertisement