અમદાવાદઃ ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. આ ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી રાજસ્થાનના જોધપુર વચ્ચે દોડશે. પ્રધાનમંત્રી મોદી 7 જુલાઈએ તેનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરશે. આ ટ્રેન સાબરમતીથી જોધપુર વચ્ચે પાંચ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના અને પાલી સ્ટેશને રોકાશે.
Advertisement
Advertisement
રવિવારે ટ્રેનનું મેન્ટેનન્સ કરવામાં આવશે
આ ટ્રેન સોમવારથી શનિવાર સુધી અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. જ્યારે રવિવારે ટ્રેનનું મેન્ટેનન્સ કરવામાં આવશે. આ ટ્રેન જોધપુરથી સવારે 6 વાગ્યે ઉપડશે અને બપોરે 12.05 વાગ્યે સાબરમતી પહોંચશે. જ્યારે સાબરમતીથી 16.45 કલાકે નીકળીને ટ્રેન 22.45 કલાકે જોધપુર પહોંચશે. એક્સપ્રેસ ટ્રેનો સામાન્ય રીતે સાબરમતી અને જોધપુર વચ્ચેનું અંતર કાપવામાં આઠ કલાક લે છે, જ્યારે વંદે ભારત ટ્રેન માત્ર છ કલાકમાં આ અંતર કાપશે.
કેટલીક ટ્રેનોના સમયમાં નજીવો ફેરફાર
સાબરમતીથી જોધપુર સુધીની આ ટ્રેનનું ભાડું હજુ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ અન્ય વંદે ભારત ટ્રેનના ભાડા પ્રમાણે 800 થી 1600 રૂપિયા થાય તેવી શક્યતા છે. સાબરમતી અને જોધપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સમયસર દોડાવવા માટે રેલવેએ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં દોડતી કેટલીક ટ્રેનોના સમયમાં નજીવો ફેરફાર કર્યો છે. વંદે ભારતને કારણે ટ્રેનોના સમયમાં 5 થી 15 મિનિટનો ફેરફાર થઈ શકે છે. બિકાનેર-દાદર એક્સપ્રેસના સમયપત્રકમાં 15 મિનિટના ફેરફારની માહિતી મળી રહી છે.
Advertisement