ઉત્તરાખંડમાં રવિવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી હાઇવે પર ગંગનાની પાસે ગુજરાતના મુસાફરોને લઇ જતી બસ ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ભાવનગરના સાત લોકોના મોત થયા હતા. જ્યારે ઘાયલ થયેલા 28 લોકોને ઉત્તરકાશી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી સાત ગંભીર ઘાયલોને AIIMS ઋષિકેશ અને દૂન હોસ્પિટલ દહેરાદૂનમાં રીફર કરવામાં આવ્યા છે. આ બસમાં ગુજરાતના 33 પ્રવાસી હતા.
Advertisement
Advertisement
ઉત્તરાખંડના રાહત કમિશનરની માહિતી મુજબ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા 33 જેટલા પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ડિઝાસ્ટર ઓપરેશન સેન્ટરની માહિતી મુજબ બસમાં કુલ 35 લોકો સવાર હતા. આ બસ ગંગોત્રી ધામથી પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં આ લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા.
મળતી માહિતી મુજબ, બસ નંબર (યુકે 07 8585) ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ જઈ રહી હતી ત્યારે બસ બેકાબૂ થઈ ખીણમાં પડી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ મણેરી પોલીસ સ્ટેશન, એસડીઆરએફ અને એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. થોડીવારમાં ડીએમ અભિષેક રુહેલા અને એસપી અર્પણ યદુવંશી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. મોડી સાંજ સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 28 ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 7 લોકો ભાવનગરના હોવાનું મનાય છે. 15મી ઓગસ્ટે ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં આ લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. જે બસને અકસ્માત નડ્યો હતો તે બસમાં મોટાભાગના યાત્રિકો ભાવનગર જિલ્લાના હતા. આ ઉપરાંત સુરત અને ગુજરાતના અન્ય કેટલાક યાત્રિકો પણ આ બસમાં સવાર હોવાનું સામે આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને અકસ્માતમાં મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.
ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 20, 2023
અકસ્માતમાં મૃતકોની યાદી
1. મીના બેન ઉપાધ્યાય(51)
2. ગણપતરામ મહેતા, (61)
3. દક્ષા મહેતા(57)
4. રાજેશ મેર (40)
5. અનિરુદ્ધ જોશી(35)
6. ગીગા બાઈ ભામર(40)
7. કરનજીત ભાટી(29)
દરમિયાન, રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા કહ્યું હતું કે પ્રાથમિક માહિતી પ્રમાણે સાત ગુજરાતી પ્રવાસીઓ ના મૃત્યુ થયા છે અને 27 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે. ઉત્તરાખંડ રાજ્યના એસ. ડી આર એફ ની બચાવ ટુકડીઓ બચાવ રાહત કામગીરીમાં જોડાઈ હતી અને ઇજાગ્રસ્ત પ્રવાસીઓને વધુ સારવાર માટે ઋષિકેશ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કઈ રીતે સર્જાયો અકસ્માત?
ગુજરાતથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકોએ ત્યાંથી સ્થાનિક બસમાં યાત્રા શરૂ કરી હતી. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ બસમાં ગુજરાતના લોકો સવાર હતા. તેઓ ગંગોત્રી ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. તેના કારણે બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને બાદમાં વૃક્ષો વચ્ચે અટકી ગઈ હતી.
Advertisement