ગાંધીનગરઃ ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ તાજેતરમાં રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાને ગુજરાત ભાજપમાં આંતરિક વિખવાદ તરીકે જોવામાં આવી રહ્યું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ શનિવારે કચ્છ અને રવિવારે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાત લેશે. તેમના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કોટેશ્વર મહાદેવના દર્શનથી થશે. આ ઉપરાંત તેઓ કચ્છના કંડલા અને ગાંધીનગરમાં જાહેરસભાઓને સંબોધન કરશે. તેમની ગુજરાત મુલાકાતથી રાજ્યનો રાજકીય પારો ગરમાયો છે.
Advertisement
Advertisement
શનિવારે તેઓ કચ્છના કોટેશ્વર મહાદેવના દર્શન કરશે
શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છના કોટેશ્વર મહાદેવના દર્શન કરશે અને ભારત-પાકિસ્તાન સરહદનું નિરીક્ષણ કરશે. બીજા દિવસે રવિવારે તેઓ સંસદીય ક્ષેત્રના અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યક્રમોમાં ભાગ લેશે. ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે રાત્રે દિલ્હીથી સીધા કચ્છ પહોંચશે. ત્યાં તેઓ નારાયણ સરોવર પાસેના કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ ખાડી વિસ્તારોમાં નિરીક્ષણ કરશે અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
IFFCO કંડલા ખાતે નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
બાદમાં તેઓ કંડલા ખાતે IFFCOના નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ એક જાહેર રેલીને પણ સંબોધન કરશે. કચ્છ પ્રવાસ દરમિયાન તેઓ ભુજમાં જેઆઈસીની પણ મુલાકાત લેશે અને આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લા ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરશે. બીજા દિવસે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેશે.
Advertisement