ગુજરાતના દરિયાકિનારા તરફ આવી રહેલા અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોયની ગતિમાં છેલ્લાં કેટલાંક કલાકોમાં ઘટાડો નોંધાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગ અનુસાર ચક્રવાતની ગતિમાં ઘટાડો થયો હોવાથી હવે તે 15જૂનને ગુરૂવારે રાત્રે ૯ થી ૧૦ કલાકની આસપાસ દરિયાકાંઠે ટકરાવાનું અનુમાન છે. સંભવિત ચક્રવાત જ્યારે જમીન સાથે ટકરાશે ત્યારે પવનની ગતિ ૧૧૫-૧૨૫ કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત ટકરાયા બાદ કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ,અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર, બોટાદ, દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે.
Advertisement
Advertisement
બિપરજોય જખૌ બંદરથી 170 કિમી દૂર
ચક્રવાતી તોફાન બિપરજોય છેલ્લાં 6 કલાક દરમિયાન 6 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું અને આજે સવારે 0530 કલાક ISTની સ્થિતિએ અક્ષાંશ 22.6°N અને રેખાંશ 67.1°E નજીક, જખૌ બંદરથી લગભગ 170 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, દેવભૂમિ દ્વારકાથી પશ્ચિમે 210 કિમી, નલિયાની પશ્ચિમે 210 કિમી, પોરબંદરથી 290 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં અને કરાચી (પાકિસ્તાન)થી 270 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રીત હતું.
મુખ્યમંત્રીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક
દરમિયાન, ચક્રવાતી તોફાન બિપરજોયને લીધે ઉભી થનારી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.
બેઠક બાદ રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ મીડિયાને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૯૪ હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. પાંડેએ ઉમેર્યું કે, વાવાઝોડું જેમ જેમ દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ પવનની ગતિ અને વરસાદમાં વધારો થશે. સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા ૮ જિલ્લાના ૫૫ તાલુકાઓમાં ગત ત્રણ દિવસ દરમિયાન કુલ ૨૨૪૮ મીમી વરસાદ નોંધાયો છે.
બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાયા બાદ તા ૧૬ જૂનના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને પરિણામે સંબંધિત જિલ્લા તંત્રને પૂર્વ તૈયારીઓ કરી લેવા દિશાનિર્દેશો અપાયા છે.
NDRF, SDRF અને પોલીસ તથા વહીવટીતંત્ર સાથે કાર્યરત
રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ ઉમેર્યું કે NDRF, SDRF અને પોલીસ તથા વહીવટીતંત્ર સાથે મળીને આ સંભવિત વાવાઝોડાથી ઓછામાં ઓછું નુક્સાન થાય તેવી વ્યવસ્થા સાથે કાર્યરત છે. સંભવિત વાવાઝોડાને પરિણામે સંદેશા વ્યવહારને અસર ન પડે તે માટે મોબાઇલ ઓપરેટર્સ ઇન્ટ્રાસર્કલ રોમિંગની સુવિધા સાથે સજ્જ છે. આ ઉપરાંત સેટેલાઇટ ફોન્સ, વાયરલેસ નેટવર્કનો પણ જરૂર જણાયે ઉપયોગ થઇ શકે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં વૃક્ષ ધરાશાયી થવાની ૪૦૦ ઘટનાઓ નોંધાઈ છે, તે તમામ વૃક્ષોને માર્ગ અને મકાન વિભાગની ટીમોએ હટાવીને રસ્તાઓ ચાલુ કરી દીધા છે. આ ટીમોને જરૂરી મશીનરી અને ડીઝલ જનરેટર સાથે તૈયાર કરવામાં આવી છે.
૯૪ હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર
૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૯૪ હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. જૂનાગઢ જિલ્લાના ૪૮૬૪, કચ્છના ૪૬,૮૨૩, જામનગરના ૯૯૪૨, પોરબંદરના ૪૩૭૯, દેવભૂમિ દ્વારકાના ૧૦,૭૪૯, ગીર સોમનાથના ૧૬૦૫, મોરબીના ૯૨૪૩ અને રાજકોટના ૬૮૨૨ મળી ૯૪,૪૨૭ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
Advertisement