ગાંધીનગર: ચક્રવાત બિપરજોય તારાજી સર્જ્યા બાદ ગુજરાતથી આગળ નીકળી ગયું છે. ગુજરાતમાં ગુરુવારની રાત લોકોએ ભારે મુશ્કેલીમાં પસાર કરી છે. વાવાઝોડા પછીની સ્થિતિ જોઈને લોકો આઘાતમાં મૂકાઈ ગયા છે. ભારે પવનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠામાં લોકોના ઘરો અને અન્ય મિલકતો તેમજ વૃક્ષો, થાંભલાઓ, વાહનો, પશુઓ વગેરેને ભારે નુકસાન થયું છે. અનેક જગ્યાએ વીજ થાંભલા પડી જવાથી મોટાભાગના ગામોમાં અંધકાર છવાઈ ગયો છે. ગુજરાત સરકાર દ્વારા પૂરજોશમાં રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
કચ્છના જખૌમાં થયું લેન્ડફોલ
ચક્રવાત બિપરજોયને લીધે 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. ગઈકાલે રાત્રે બિપરજોયે જખૌ બંદર પર લેન્ડફોલ કર્યું હતું. મળતી માહિતી મુજબ, જખૌથી માત્ર 10 કિલોમીટરના અંતરેથી આ વાવાઝોડું તારાજી સર્જતા આગળ નીકળી ગયું હતું.
વાવાઝોડું ક્યાં પહોંચ્યું?
હવામાન વિભાગના મહાનિદેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કેન્દ્રિત થયેલું ચક્રવાતી તોફાન બિપરજોય ધીમે ધીમે પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશામાં ભુજથી સવારે 8.30 વાગ્યે પશ્ચિમ-ઉત્તર તરફ આગળ વધ્યું હતું. તે પશ્ચિમ દિશામાં 30 કિલોમીટરના અંતરે કેન્દ્રિત છે. ચક્રવાતી તોફાન બિપરજોય થોડું નબળું પડી ગયું છે. આજે સાંજ સુધીમાં આ વાવાઝોડું નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉત્તર ગુજરાત વિસ્તાર અને દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પૂર્વના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજ સુધીમાં રાજસ્થાનમાં પ્રવેશ કરનારું વાવાઝોડું આલમસર, બાડમેર, સિંદરી, પટોડી, જોધપુર થઈને આગળ વધે તેવી શક્યતા છે. આ ઉપરાંત વાવાઝોડાની અસર પંજાબ રાજ્ય પર પણ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement