ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો પર ચક્રવાતી તોફાન ‘બિપરજોય’નો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ બિપરજોયે અતિ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. તેને લીધે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકિનારા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોના છ જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યંત ખતરનાક બનેલું ચક્રવાત બિપરજોય 15 જૂને કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાય તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
દરમિયાન, ચક્રવાત બિપરજોય પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું હતું. ગઈકાલે રાત્રે 02.30ની સ્થિતિએ તે પશ્ચિમમાં મુંબઈથી લગભગ 540 કિમી, પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમે 360 કિ.મી., દેવભૂમિ દ્વારકાથી 400 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમે 490 કિ.મી.અને કરાચી (પાકિસ્તાન)થી દક્ષિણે 660 કિમી દૂર હતું.
14 જૂનની સવાર સુધીમાં ચક્રવાત બિપરજોય ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે, ત્યારબાદ 15 જૂને બપોર સુધીમાં 125-135 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે અત્યંત તીવ્ર ચક્રવાત તરીકે તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે તેવી શક્યતા છે. બિપરજોય માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
ઓખા, મુન્દ્રા, માંડવી, જખૌ, વેરાવળ બંદરો પર ભયસૂચક સિગ્નલ
ભયંકર ચક્રવાત બિપોરજોયની શક્યતાના પગલે ઓખા બંદર પર ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા અતિ ભયસૂચક 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જ્યારે કચ્છના મુન્દ્રા, માંડવી અને જખૌ બંદર પર અતિભય સૂચક 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ચક્રવાત આ બંદરોને વધુ અસર કરે એવી શક્યતા છે. દરમિયાન, ભાવનગરમાં પવનની ગતિ વધી હતી. દરિયામાં પવન સાથે મોજા ઉછળ્યા હતા. ભાવનગરના ઘોઘા બંદરે 3 નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે..વેરાવળ બંદર પર ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. બિપરજોય ચક્રવાતની અસરને લીધે દ્વારકાના દરિયામાં મોટાં મોજા ઉછળ્યા હતા. તેને પગલે ભડકેશ્વર નજીકના દરિયા કાંઠે એક મોટી ભેખડ ધસી પડી હતી.
સૌરાષ્ટ્રના છ જિલ્લા એલર્ટ પર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં પવનની ગતિ 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 13-15 જૂન દરમિયાન ભારે વરસાદ અને તીવ્ર પવનની ઝડપ સાથે ચક્રવાતી તોફાનથી આ જિલ્લા પ્રભાવિત થાય તેવી સંભાવના છે. બિપરજોય ચક્રવાતના વધતા ખતરાને જોતાં 1500થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું છે. જ્યારે માછીમારોને 15 જૂન સુધી દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
દરમિયાન, ગુજરાત સરકાર બિપરજોય વાવાઝોડાની ગતિવિધી પર સતત નજર રાખી રહી છે અને તમામ પરિસ્થિતીને પહોંચી વળવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને પગલે રાજ્યમાં શેલ્ટર હોમ તૈયાર કરાયા છે તેમજ એક એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે દરિયાકાંઠે વસતા 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. તો એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. કોસ્ટગાર્ડ દ્વારા સોમનાથના દરિયાઇ વિસ્તારોમાં હેલિકોપ્ટર મારફતે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વેરાવળમાં હાલ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની ટુકડી તૈનાત કરવામાં આવી છે.
Advertisement