દેવભૂમિ દ્વારકાથી એક ઘોજારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક પુલ પરથી છકડો નીચે પટકાયો હતો, જેમાં આશરે એક ડઝન મુસાફરો સવાર હતા, જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ગમખ્વાર અકસ્માતમાં ગીતાબહેન ભરતભાઈ નનેરા, હુસેનભાઈ શાહ મામદભાઈ તેમજ મુક્તાબહેન ધનજીભાઈ નનેરા નામની ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે આઠ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થતાં જામનગર સહિતની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાયા છે.
મળતી માહિતી અનુસાર સવારે 12 કલાકે મુસાફરો ભરેલા છકડો રિક્ષા જામજોધપુરના ધ્રાફા ગામેથી ભાણવડ તાલુકાના જામરોજીવાડા ગામ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન ભાણવડ નજીક ચાલકે અચાનક રિક્ષાનો કન્ટ્રોલ ગુમાવી દેતા છકડો રિક્ષા પુલ નીચે ખાબકી હતી. પુલની પ્રોટેક્શન દીવાલ તોડીને આ છકડો રિક્ષા નીચે ખાબકી હતી.
આ ભયાનક અકસ્માત સર્જાતા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જોતજોતામાં સ્થાનિક લોકો મદદે દોડી ગયા હતા. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા છે, અને અન્ય 8 લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા.
આ સમગ્ર ઘટનાની તપાસ ભાણવડ પોલીસ કરી રહી છે અને ઘટના સ્થળની બારીકાઈથી તપાસ કરી રહી છે. મૃતકોના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી અને બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
Advertisement