અમદાવાદઃ શહેરની જાણીતી SVP હોસ્પિટલના ડાયાલિસિસ વોર્ડની છતનો એક ભાગ તૂટી પડતા ભારે હોબાળો મચી ગયો હતો. હોસ્પિટલના 12મા માળે છતનો એક ભાગ અચાનક જ ધરાશાયી થતાં પીઓપી સહિતનું આખું માળખું જમીન પર પડી ગયું હતું. જોકે, રાહતની વાત એ છે કે અકસ્માત સમયે ડાયાલિસિસ વોર્ડમાં કોઈ દર્દી ન હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આ અગાઉ પણ પીઓપીની શીટ તૂટી પડી હતી.
Advertisement
Advertisement
પીઓપીની 5 જેટલી શીટ જમીન પર પડી
એસવીપી હોસ્પિટલના સીઈઓ ડો.સૌરભ પટેલે મીડિયાને જણાવ્યું કે, રવિવારે હોસ્પિટલના ડાયાલિસિસ વોર્ડમાં આરસીસીની છત સાથે જોડાયેલી પીઓપીની શીટ પડી ગઈ હતી, આ ઘટના દરમિયાન વોર્ડમાં કોઈ દર્દીની સારવાર થઈ રહી ન હતી. જે જગ્યાએ શીટ પડી છે ત્યાં દર્દીઓ માટે બેડ નથી, ત્યાંથી ચાલવાનો રસ્તો છે.
અગાઉ પણ બી-2 વોર્ડમાં આવી જ ઘટના બની હતી
SVP હોસ્પિટલમાં પીઓપી શીટ પડી જવાના અને છત પરથી પાણી ટપકવાના બનાવો અવારનવાર બનતા રહે છે. અગાઉ હોસ્પિટલના બી-2 વોર્ડની પીઓપીની શીટ નીચે પડી ગઈ હતી. જેના કારણે ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓને બીજા માળે ખસેડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, હોસ્પિટલના કેટલાક માળ પર છતમાંથી પાણી ટપકતું હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
Advertisement