ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદી આજે આદિજાતિ છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા. તેમણે જિલ્લાના બોડેલી ખાતેથી નાગરિકોને રૂ.૫૨૦૬ કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી. પીએમ મોદીએ જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે વિપક્ષોએ અનામતની રાજનીતિ કરી, પરંતુ જ્યાં સુધી હું સીએમ બન્યો ત્યાં સુધી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં એક પણ વિજ્ઞાન પ્રવાહની કોલેજ ન હતી.
Advertisement
Advertisement
પીએમ મોદીએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે આદિજાતિ બંધુઓને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે છેલ્લાં બે દાયકામાં આદિજાતિ વિસ્તારોમાં ૨૫ હજાર નવા ક્લાસરૂમો સહિત પાંચ નવી મેડિકલ કોલેજો, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનું નિર્માણ કર્યું છે. ગુજરાતના ૫૦થી વધુ તાલુકાઓમાં કૌશલ્યવર્ધન કેન્દ્રોથી વિદ્યાર્થીઓમાં કુશળતાના બીજ રોપાયા છે. પીએમ મોદીએ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ કેન્દ્ર દ્વારા જરૂરિયાત મુજબ તાલીમ મેળવીને લાભ લેવા માટે યુવાનોને આહવાન કર્યું હતું.
પીએમ મોદીએ ઉમેર્યું કે, કેન્દ્ર સરકારે ઈઝ ઓફ લિવિંગ, ક્વોલિટી ઓફ લાઈફને પ્રાધાન્ય આપ્યું છે. છેલ્લાં નવ વર્ષમાં કેન્દ્ર સરકારે ગુડ ગવર્નન્સ દ્વારા સમાજના દરેક વર્ગ, દરેક ક્ષેત્રના નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે અવિરતપણે કામ કર્યું છે. પીએમ મોદીએ જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારની માતાબહેનો પણ ડિજીટલ ટેક્નોલોજી, મોબાઇલ ઇન્ટરનેટ થકી દુનિયા સાથે કદમતાલ મિલાવી રહી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા ૭૫૦૦ જેટલા ગામડાઓમાં સસ્તી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વાઇફાઇ સુવિધા આપવાની યોજનાથી ગામડાઓમાં આમૂલ પરિવર્તન આવશે.
પીએમ મોદીએ કહ્યું કે મારા નામે કોઈ ઘર નથી, પરંતુ મેં દેશની ઘણી દીકરીઓના નામે ઘર આપવાનું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું કે અમારી સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવી છે જે ત્રણ દાયકાઓથી અટવાયેલી હતી. પીએમ મોદીએ કહ્યું કે ગરીબોને ઘર, પાણી, રસ્તા, વીજળી અને શિક્ષણ આપવું એ અમારી પ્રાથમિકતા છે. આજે દેશભરમાં ગરીબો માટે ચાર કરોડથી વધુ પાકાં મકાનો બનાવવામાં આવ્યા છે. આદિવાસીઓ માટે તેમની ઈચ્છા મુજબ મકાનો બનાવવામાં આવ્યા છે.
વડોદરામાં કાર્યક્રમને પીએમ મોદીનું સંબોધન
ત્યારબાદ પીએમ મોદી બોડેલીથી વડોદરા પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. નારી શક્તિ વંદન સંબંધિત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકોએ મહિલા અનામત બિલને ત્રણ દાયકા સુધી રોકી રાખ્યું. પીએમ મોદીએ ઉમેર્યું, “અનામત બિલ પાસ થયા બાદ વિપક્ષ મહિલાઓને જાતિ અને ધર્મના નામે વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.” પીએમ મોદીએ દેશની નારીશક્તિને પોતાના હકો-અધિકારોથી વંચિત રાખનાર મહિલા વિરોધીઓ પાસેથી હિસાબ માંગવા જણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આ અધિનિયમ હેઠળ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગની બહેનો માટે પણ અનામતની જોગવાઈ કરવામાં આવશે. આ વિધેયક પર હસ્તાક્ષર કરનાર દેશના પહેલા આદિજાતિ રાષ્ટ્રપતિ અને સ્વયં એક મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મુ હશે એમ પણ તેમણે ગર્વથી જણાવ્યુ હતું.
Advertisement