ગુજરાત હાઈકોર્ટ પછી હવે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેમની સામે કરાયેલા ફોજદારી માનહાનિના કેસમાં તત્કાળ સુનાવણીની માંગને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુનાવણીની તારીખ આપવામાં આવી હોવાથી સુનાવણીનો ઈનકાર કર્યો છે.
Advertisement
Advertisement
આ અગાઉ, અરવિંદ કેજરીવાલે ગુજરાત હાઈકોર્ટ પાસે માનહાનિ મામલે સ્ટે આપવાનો અનુરોધ કર્યો હતો. પરંતુ કોર્ટે તેમની અરજી નકારી કાઢી હતી. તેથી દિલ્હીના મુખ્યમંત્રી આ આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. જોકે, ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે 29 ઓગસ્ટે સુનાવણી થવાની હોવાથી સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને તેમાં જ યોગ્ય રજૂઆત કરવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેજરીવાલની રિવીઝન અરજી પહેલેથી જ હાઈકોર્ટમાં ચાલી રહી છે. તેવામાં નવી અરજી પર સુનાવણી કરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની ડિગ્રી મુદ્દે ટિપ્પણી કરવા બદલ ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા આમ આદમી પાર્ટી (‘આપ’)ના રાજ્યસભાના સભ્ય સંજયસિંહ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં કેજરીવાલ અને સંજય સિંહે રિવિઝન અરજીની તત્કાળ સુનાવણી માટે અમદાવાદની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સેશન્સ કોર્ટે તેમની તત્કાળ સુનાવણીની માંગને ફગાવી દીધી હતી. તેમની રિવિઝન અરજી પર આગામી 16 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
શું છે મામલો ?
પીએમની ડિગ્રી વિશે માહિતી માંગવાનો કેસ સાત વર્ષ જૂનો છે. હકીકતે એપ્રિલ 2016માં સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને કેજરીવાલ પાસેથી તેમના ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPIC)અંગે માહિતી માંગી હતી. દરમિયાન, કેજરીવાલે કમિશનને કહ્યું હતું કે તેઓ સીઆઈસીને પોતાના વિશે જરૂરી માહિતી આપવા માટે તૈયાર છે, પરંતુ સાથે એમ પણ કહ્યું હતું કે પીએમને પણ તેમની શૈક્ષણિક ડિગ્રીની વિગતો જાહેર કરવા માટે કહેવું જોઈએ. કેજરીવાલના જવાબને સીઆઈસી દ્વારા એક નાગરિકની આરટીઆઈ અરજી તરીકે ગણવામાં આવ્યો હતો. આ પછી, તત્કાલિન મુખ્ય માહિતી કમિશનર એમ શ્રીધર આચાર્યુલુએ વડા પ્રધાન કાર્યાલયને પીએમ મોદીની દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક અને માસ્ટર્સ ડિગ્રીના ચોક્કસ નંબરો અને વર્ષની માહિતી માટે સૂચના આપી હતી. પીએમ સંબંધિત કોઈપણ દસ્તાવેજને શોધવામાં અને આપવામાં સરળતા રહે એટલા માટે આ આદેશ આપવામાં આવ્યો હતો.
Advertisement