અમદાવાદ: શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. તેના કારણે પોલીસ સમક્ષ કાયદો અને વ્યવસ્થાની જાળવણી એક પડકાર બની ગયો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મણિનગરની એલજી હોસ્પિટલ પાસે આવેલી સોનાની દુકાનમાં એક યુવક લૂંટના ઈરાદે પહોંચ્યો હતો. તેણે બંદૂકની અણીએ લૂંટ ચલાવીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ તેને પકડી લીધો હતો.
Advertisement
Advertisement
આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. ઘટના બાદ જ્યારે ચોર ભાગી રહ્યો હતો ત્યારે લોકોના ટોળાએ તેનો પીછો કર્યો હતો. તે દરમિયાન તેણે ભીડને ભગાડવા માટે ગોળીબાર પણ કર્યો હતો. પરંતુ કેટલાંક લોકોએ સાવધાનીપૂર્વક તેને પાછળથી પકડી લીધો અને આરોપીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપી સામે લૂંટ અને લોકો પર ગોળીબાર કરવાનો ગુનો નોંધ્યો છે.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી યુવક એક સૈનિક છે, અને તે જયપુરનો રહેવાસી છે. તે છેલ્લા પાંચ વર્ષથી સેનામાં ફરજ બજાવે છે. જાણવા મળ્યું છે કે તે હાલમાં જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ પર છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ લોકેન્દ્ર શેખાવત છે. તેણે જણાવ્યું કે દેવું વધી ગયું હોવાથી તેણે આ લૂંટની યોજના બનાવી હતી. તે જયપુરથી ટ્રેનમાં અમદાવાદ આવ્યો હતો. અમદાવાદના ખોખરા વિસ્તારની એક હોટલમાં રોકાયો હતો. દિવસ પૂરો થયા બાદ મોડી સાંજે તેણે આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement