અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રીના તહેવાર દરમિયાન લોકોને હેરાન ન કરવા સરકારે પોલીસને આદેશ આપ્યો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે લોકોને કોઈપણ સમયના પ્રતિબંધ વિના મુક્તપણે ગરબા રમવાની છૂટ આપવી જોઈએ અને ફૂડ કોર્ટ પણ ચાલુ રાખવા જોઈએ. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ મધરાતના 12 વાગ્યા પછી પણ લોકોને હેરાન કરશે નહીં. સરકારે પોલીસને નવરાત્રીના તહેવારને હળવાશથી લેવા અને કાયદાનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. પરંતુ હવે મોડી રાત સુધી ગરબા રમવાના મુદ્દે હાઈકોર્ટે સ્પષ્ટ સૂચના આપી છે.
Advertisement
Advertisement
કોઇ નાગરિક ફરિયાદ કરે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે
ગુજરાત હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા અંગે સ્પષ્ટ સૂચના આપી છે. જો કોઇ નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. અગાઉના આદેશોનું પાલન કરવાની જવાબદારી પોલીસની છે. કોઈપણ પ્રકારની ફરિયાદ મળે તો મધરાતે 12 વાગ્યા પછી સ્પીકર પર ગરબા રમવા પર પ્રતિબંધ મૂકવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી વિવાદ શરૂ થયો હતો. પરંતુ હવે હાઈકોર્ટની સૂચના બાદ પોલીસ ફરી એક્શનમાં આવી જાય તો નવાઈ નહીં. મોડી રાત સુધી ચાલતા ગરબા અંગે કોઇ નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.
ગઈકાલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે જાહેરાત કરી હતી કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત સુધી ગરબા ખેલૈયાઓ તેનો આનંદ માણી શકે તે સુનિશ્ચિત કરવા પોલીસને નિર્દેશ આપ્યો છે. સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ ખેલૈયા કે ગરબા ચાહકોને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે. ખાનગી ગરબા આયોજકોએ ગરબા દરમિયાન લાઉડ સ્પીકર્સથી નજીકના રહેણાંક વિસ્તારોમાં લોકોને બિનજરૂરી મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવું પડશે. આ માટે જે ખાનગી ગરબા આયોજકો મધરાત 12 પછી પણ ગરબા ચાલુ રાખવા માગતા હોય તેમણે લો વોલ્યુમ મ્યુઝિક સિસ્ટમ પર ગરબા યોજવાના રહેશે.
Advertisement