આજે હવામાન વિભાગે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરી છે. તો બીજી તરફ અમદાવાદમાં યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહેવાની આગાહી કરી છે. આગાહી પહેલા જ કાળઝાળ ગરમીનો અનુભવ થવા લાગ્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે.
Advertisement
Advertisement
રાજ્યમાં 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સોમવારે સૌથી ગરમ શહેર રહ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં 41.4 તાપમાન ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. જોકે, હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ગરમીનો પારો હજું પણ વધારે ઉંચો જઈ શકે છે, આગામી 4 દિવસમાં અમદાવાદમાં 42 ડિગ્રી ઉપર તાપમાન જશે. હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ ગુજરાતમાં પર વાવાઝોડાની કોઈ અસર નથી તો પાછલા પાંચ દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રી વધારો થવાની આગાહી છે.
ભુજમાં સપ્તાહમાં પારો 8 ડિગ્રી ઉંચકાઇને સોમવારે 41 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે ગાંધીધામ-અંજારમાં પણ 41.2 ડિગ્રીએ કાળઝાળ ગરમી અનુભવાઇ હતી.
પશ્ચિમી વિક્ષોભની અસર તળે ભુજમાં ગત સોમવારે મે મહિનાના પ્રથમ દિવસે અધિકત્તમ તાપમાન 33.5 ડિગ્રી રહ્યું હતું જેમાં ક્રમશ: વધારો થયો હતો અને 8 મેના દિવસે એટલે કે સોમવારે મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રીએ પહોચ્યો હતો.
કંડલા બંદરે 37 અને નલિયા ખાતે 36.2 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ક્રમશ: બેથી ત્રણ ડિગ્રી ઉંચકાવાની સાથે ગરમીનું જોર વધશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં પણ 40 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું. અત્યાર સુધીમાં સમાયાંતરે થયેલા માવઠાના કારણે ગરમીથી રાહત મળેલી હતી પરંતુ જેમ-જેમ માવઠાની અસર ઓછી થઈ અને વાદળો દૂર થયા તેમ-તેમ ગરમીનો પારો વધવાનું શરૂ થયું છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી, તેવામાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ શકે છે.
તેથી હવામાન વિભાગે ઘરથી બહાર નિકળવા પર સાવધાની રાખવાની પણ સલાહ આપી છે, તેમાં ખાસ કરીને નાના બાળકોની સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે. કેમ કે વેકેશનના કારણે લોકો ફરવા માટે ઘર બહાર નિકળી રહ્યાં છે, તેવામાં નાના બાળકોની સારસંભાળ રાખવી ખુબ જ જરૂરી છે.
Advertisement