ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામની યાત્રા પ્રવાસે નીકળેલી બસને બુધવારે સવારે રાજસ્થાન નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક જ ગામના 12 મુસાફરોના મોત થયા હતા. પોસ્ટમોર્ટમ બાદ ગઈકાલે મૃતદેહોને તેમના વતન ગામમાં લાવવામાં આવ્યા હતા જેના કારણે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. જ્યારે દસ અંતિમ યાત્રા એકસાથે નીકળી ત્યારે આખા ગામના લોકોએ અશ્રુભીની આંખે તેમાં ભાગ લીધો હતો.
Advertisement
Advertisement
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામના 57 યાત્રાળુઓ તા. 9ના રોજ કાર્તિક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસમાં બજરંગદાસ બાપા આશ્રમથી મથુરા જવા નીકળ્યા હતા. બાર દિવસની યાત્રા પર નીકળેલા તીર્થયાત્રીઓએ નાથદ્વારા અને પુષ્કરની મુલાકાત લીધી અને તેમની આગળની યાત્રા માટે રવાના થયા. પરંતુ, 12મીએ રાત્રે રાજસ્થાનના ભરતપુર પાસે તેમની બસ બગડી ગઈ હતી અને ડ્રાઈવર તેનું રિપેરિંગ કરી રહ્યો હતો ત્યારે એક ટ્રકે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દિહોર ગામના 12 લોકોના મોત થયા હતા.
ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્રની એક ટીમે રાજસ્થાનના સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરીને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા અને પોસ્ટમોર્ટમ બાદ મૃતકોના મૃતદેહોને તેમના વતન પરત લાવવાની વ્યવસ્થા કરી હતી. આ ઘટના અંગે શોક વ્યક્ત કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
દરમિયાન ગઈકાલે દસ મૃતદેહો એમ્બ્યુલન્સમાં દિહોર ગામે પહોંચ્યા ત્યારે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. આ દરમિયાન ગ્રામજનોએ સામૂહિક રીતે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ પરમાર તેમજ અધિક કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ગામમાંથી મૃતકોની અંતિમયાત્રા એકસાથે નીકળી હતી. જેમાં દિહોર ગામ અને તેની આસપાસના ગામોના હજારો લોકો અશ્રુભીની આંખે જોડાયા હતા.
Advertisement